મોરબીના વજેપર વિસ્તારમાં જૂની અદાવતને પગલે એક યુવક અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરાયાની ઘટના સામે આવી છે. મિત્રતા રાખવાના મુદ્દે થયેલી દુશ્મનાવટમાં પાંચ શખ્સોએ ભેગા મળી હુમલો કરી યુવકને છરીના ઘા ઝીંક્યા હતા, જ્યારે તેના મિત્રને લોખંડના પાઇપ વડે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના વજેપર શેરી નં. 11 ખાતે રહેતા 19 વર્ષીય રોહિતભાઈ જગદીશભાઈ બાંભણીયાએ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જગદીશ ઉર્ફે જગો સુરેશભાઈ થરેશા, દીપ ગણેશભાઈ રાવલ, જીગ્નેશ ભીમાભાઈ (ત્રણેય વજેપર નિવાસી), જયપાલ ઝાલા (શિવ સોસાયટી) તેમજ સાહિલ મુન્નાભાઈ જાદવ (કાલિકા પ્લોટ) સામે આક્ષેપ કર્યા છે.
ફરિયાદ મુજબ, તેમના મિત્ર અને આરોપી જગદીશ વચ્ચે અગાઉથી વિવાદ ચાલતો હતો. તે અદાવતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્ર સાથે ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન જગદીશ અને દીપે ફરિયાદીને પીઠ તથા પગના ભાગે છરીના ઘા માર્યા હતા. જયપાલે લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો, જ્યારે દીપે ફરિયાદીના મિત્ર વિશાલભાઈના માથામાં લોખંડના પાઇપથી ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
આ ઉપરાંત તમામ આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્રને મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

