સમગ્ર રાજ્યમાં 23 થી 25 જૂન દરમિયાન આયોજિત ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026’ના ભાગરૂપે, મોરબી વહીવટી તંત્રના રૂટ નંબર-1 હેઠળ આવતા આંબાવાડી, નાની વાવડી અને રાજપર ગામની આંગણવાડી, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ’ મોરબી જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અન્વયે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9ના તમામ બાળકોને શૈક્ષણિક કીટો અર્પણ કરી ઉત્સાહભેર 100% નામાંકન કરાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે એસ.એમ.સી.અને એસ.એમ.ડી.સી.ના સભ્યો તેમજ સ્થાનિક વાલીઓ સાથે ખાસ બેઠક યોજીને સંવાદ સાધ્યો હતો. તેમણે મધ્યાહ્ન ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી હતી તથા શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને શિક્ષણનું સ્તર સુધારવા માટે વાલીઓ-શિક્ષકોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તેમણે શાળાઓમાંથી રેન્ડમલી પાંચ-પાંચ બાળકોની પસંદગી કરી તેઓનું વાંચન, ગણન અને લેખન ચકાસી ગુણાંકન કર્યું હતું તેમજ પ્રાયોગિક અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે CET, NMMS, જ્ઞાનસાધના, જવાહર નવોદય તથા SSC બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ શાળાના વિકાસમાં સહયોગ આપનાર દાતાઓનું મહાનુભાવોના વરદહસ્તે શીલ્ડ આપી વિશિષ્ટ સન્માન કરાયું હતું. ટ્રાફિક નિયમોના પાલન માટે ઉપસ્થિત સૌને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનની કડી જોડવામાં આવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, તાલુકા પંચાયતના પ્રમુખ તુલસીબેન મારવાણીયા, વેટેનરી ઓફિસર એન.ડી. ભાડજા, સ્થાનિક કાઉન્સિલર્સ, સરપંચો, ગ્રામજનો, આચાર્યઓ અને શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન લાઈઝન ઓફિસર શૈલેષ કાલરીયા અને શિરીષ રાંકજા દ્વારા કરવામાં આવ્યું હતું.

