ગુજરાતમાં કોરોનાના ઓમીક્રોન વાયરસની એન્ટ્રી બાદ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તેમજ થોડા દિવસ અગાઉ જ ધોરણ 1 થી 5 ના શરૂ કરવામાં આવેલા ઓફલાઇન કલાસને લઇને પણ વાલીઓ ચિંતામાં છે. જો કે આ દરમ્યાન રાજયમાં અનેક વાલીમંડળોએ સરકારના ધોરણ 1 થી 5 ના ઓફ લાઇન કલાસ ફરી એક વાર ઓનલાઇન શરૂ કરવાની માંગ કરી છે. આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું છે કે રાજ્યના કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોનની એન્ટ્રી થઈ છે. તેમજ લોકો પણ હજુ કોરોનાના પ્રત્યે એટલા સભાન નથી . તેવા સમયે સરકારે ધોરણ 1થી 5ના ઓફ લાઇન શરૂ કરેલા વર્ગો ઓનલાઈન શરૂ કરવા જોઇએ.

બાળકોના હિતમાં સરકારે ધો.1થી 5ની સ્કૂલો તાત્કાલિક ધોરણે બંધ કરીને ઓનલાઇન શરૂ કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત શાળા સંચાલકો અને સરકાર બાળકોને શાળાએ મોકલતા પુર્વે વાલીઓ પાસેથી સંમતિપત્ર પણ લઇ લીધું છે. તેથી જો બાળકોને કોરોના થાય તો તે જવાબદારી વાલીની છે અને શાળા અને સરકારે તો આ મુદ્દે પોતાના હાથ અધ્ધર કરી દીધા છે. તેથી બાળકોના હિતમાં સરકારે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવાની તાતી જરૂરિયાત છે.
જો કે આ દરમ્યાન રાજ્યની અનેક શાળાઓમાં ધોરણ 1 થી 5 ક્લાસમાં વિધાર્થીઓની હાજરી પાંખી જોવા મળી રહી છે. તેમજ વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલી કોઇપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. તેવા સમયે સરકારે હાલના સંજોગોમાં ઓફલાઇન ક્લાસ બંધ કરીને વાલીઓ અને વિધાર્થીઓએ કોરોનાના ભયથી મુક્ત કરવા જોઇએ તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.

