વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના નવા પ્લોટ વિસ્તારમાં બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂ.1.60 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે મકાન માલિકે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, કોઠારીયા ગામે રહેતા ઉસ્માન ગનીભાઈ માથકિયાના બંધ રહેણાક મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અજાણ્યો તસ્કર અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ મકાનના એક રૂમમાં રાખેલા કબાટનું લોક તોડી તેમાં રહેલા દાગીના ચોરી કરવામાં આવ્યા હતા.
ચોરાયેલ માલસામાનમાં ફરિયાદીના પત્ની જેનમબેનના સોનાના હાંસડી હાર, સોનાની પોંચી, વીંટી, કાનના એરિંગ અને સેર તેમજ પુત્રી શફીનાબેનના ચાંદીના સાંકળા મળી અંદાજે રૂ.1.50 લાખના દાગીના અને રૂ.10 હજાર રોકડા સામેલ છે. આમ, તસ્કરો કુલ રૂ.1.60 લાખની મત્તા ચોરી કરી નાસી છૂટ્યા હતા.
ઘટના અંગે ઉસ્માન ગનીભાઈ માથકિયાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

