મોરબીના રવાપર ચોકડી પાસે આવેલી શ્રીજી આંગડિયા પેઢીના સંચાલક સાથે વિશ્વાસ કેળવી રૂ. 60,63,400ની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, મૂળ જામનગર જિલ્લાના કેસીયા ગામના અને હાલ મોરબીના રવાપર રોડ પર નીતિન સોસાયટીમાં રહેતા તેમજ આંગડિયા પેઢીનો વ્યવસાય કરતા વિપુલભાઈ મોતીભાઈ ગોધાણી (ઉ.વ. 45)એ આરોપી જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, રહે. શક્તનાળા, મોરબી અને નિમેષભાઈ આચાર્ય, રહે. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓ અગાઉ ફરિયાદીની આંગડિયા પેઢી મારફતે અવારનવાર અન્ય સ્થળે આંગડિયા કરાવી વિશ્વાસ કેળવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીઓએ તેમના મળતીયા માણસો સાથે કથિત કાવતરું રચી ફરિયાદી પાસેથી રાજકોટ ખાતે આવેલી શ્રીજી આંગડિયા પેઢીમાં રૂ. 60,63,400નું આંગડિયું કરાવ્યું હતું.
ફરિયાદ મુજબ, આ રકમ નિમેષના આંગડિયા મારફતે ઉપાડી લેવામાં આવી હતી. રકમ ઉપાડ્યા બાદ આરોપીઓએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને ફરિયાદીને રૂ. 60,63,400 પરત કે પહોંચાડવામાં આવ્યા ન હતા.
આ મામલે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

