મોરબીના ભડિયાદ રોડ પર આવેલી આધ્યાશક્તિ પેપર મિલમાં નાણાંની લેતી-દેતીને લઈને થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. મહિલાના માથામાં લોખંડના હથોડાના ઘા મારવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, તા. 17 ઓગસ્ટ 2026ના રોજ ભડિયાદ ગામના રફાડિયા રોડ પર આવેલી આધ્યાશક્તિ પેપર મિલના કારખાનામાં એટીબીના કૂવા પાસે નાણાંની લેતી-દેતી બાબતે માથાકૂટ થઈ હતી. ફરિયાદીની બહેનની ડિલિવરી માટે આપવામાં આવેલા નાણાંની લેવડદેવડને લઈને થયેલા ઝઘડામાં આરોપીએ મહિલાના માથામાં લોખંડના હથોડા વડે ઘા માર્યા હતા. ગંભીર ઈજાઓને કારણે મહિલાનું મોત નીપજતાં મામલો હત્યામાં પરિણમ્યો હતો.
બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સર્વેલન્સ સ્ટાફને તાત્કાલિક સૂચના આપી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન હત્યામાં સંડોવાયેલા આરોપી ભુરાભાઈ બુધીયાભાઈ કટારા, મૂળ રહે. પાડલવા, કાચલા ફળિયું, તાલુકો રાણપુર, જિલ્લા ઝાબુઆ (મધ્યપ્રદેશ)વાળાને ભાણવડ તાલુકાના ચોખંડા ગામની સીમ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપીને ઝડપી લીધા બાદ મોરબી તાલુકા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

