મોરબી શહેરમાં જર્જરીત મકાન મોત બનીને ઝળુંબી રહ્યા છે, વર્ષોથી તંત્ર દ્વારા માત્ર નોટિસ ફટકારી ખાના પૂરતી કામગીરી કરતું હતું. જોકે હવે મનપા બન્યા બાદ નોટિસની સાથે વધુ આકરા પગલાં લેવાની પણ શરૂઆત કરવામાં આવી છે. મોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા 4 મકાન વાવડી રોડ વિસ્તારમાં આવેલા ત્રણ મકાન, નાની બજારમાં, વેરાઈ શેરી, વાવડી રોડ વિસ્તાર, લાયન્સ નગર શાળા, ગોકુળ નગર નજીક મિલન પાર્ક, કબીર ટેકરી, ગ્રીન ચોક વિસ્તાર અને સો ઓરડી વિસ્તાર સહિતના વિસ્તારોમાં આવેલા જર્જરીત બનેલા 15 મકાન દૂર કરવા નોટીસ ફટકારી હતી. જોકે ત્રણ-ત્રણ નોટિસ બાદ પણ યોગ્ય કાર્યવહી ન થતા અંતે મનપા તંત્ર દ્વારા પીજીવીસીએલને પત્ર લખી વિવિધ મકાનના વીજ કનેક્શન કાપવા પત્ર લખ્યો હતો. જેના આધારે આવતા પીજીવીસીએલ દ્વારા આ મકાનોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત મનપા તંત્ર દ્વારા પાણીનું જોડાણ પણ કાપી લેવામાં આવ્યું હતું.
તંત્ર દ્વારા આ કામગીરીને પગલે ત્યાં વસવાટ કરતા પરિવારે અંધકારમાં રાત વિતાવવાનો વારો આવ્યો હતો. આ અંગે કેટલાક એપાર્ટમેન્ટમાં રહેતા સ્થાનિકોએ બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ આ મકાન ખાલી કરવા માગે છે તેઓ પણ જર્જરીત મકાનમાં થનારી દુર્ઘટના થી વાકેફ છે અને તેને દૂર કરવા પણ તૈયાર છે પણ તેના માટે મનપા દ્વારા જરૂરી ગાઇડ લાઇન પણ આપે તે જરૂરી છે. આ મકાનો પાડી દીધા બાદ જો મંજૂરી માટેની કે અન્ય મુશ્કેલી થશે તો તેઓ ક્યાં જશે તેવો ભય વ્યક્ત કર્યો હતો અને આ બાબતે મનપા કમિશનર ને મળી યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરશે તેવો દાવો કર્યો હતો.

