મૂળ ટંકારા તાલુકાના નેકનામ ગામના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં રણજીતસિંહ ઝાલા, હરદેવસિંહ રણજીતસિંહ ઝાલા તથા હરપાલસિંહ રણજીતસિંહ ઝાલા (તમામ રહે. નેકનામ ગામ, તા. ટંકારા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ટંકારા ગામમાં આવેલ વડીલોપાર્જિત પ્લોટમાં ફરિયાદી અને તેમના સાથીઓ દ્વારા દિવાલ બાંધકામની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન આરોપીઓ એકસંપ થઈ સ્થળ પર પહોંચી ગયા હતા અને બાંધકામનું કામ બંધ કરાવી દીધું હતું. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથીઓ સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

