મોરબી ખાતે તા. 18 જુલાઈ, 2026ના રોજ ગ્રાન્ટેડ શાળાઓની મોરબી જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા ‘શિક્ષણ સેવા સંગઠન પર્વ-2026’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોના રાજ્ય કક્ષાના પ્રતિનિધિઓ અને શિક્ષણવિદોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
કાર્યક્રમ દરમિયાન રાજ્યના અગ્રણી વક્તાઓ આદેશકુમાર મહેતા, નારણભાઈ વીરડા, લયલેશભાઈ પરમાર, સંજયભાઈ પંડ્યા અને સુરેશભાઈ સરસાવાડિયાએ સંગઠનનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વ, વ્યક્તિ વિકાસ, નવી શિક્ષણ નીતિ તેમજ શિક્ષણ ક્ષેત્રે સંગઠનની આવશ્યકતા જેવા વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે સંચાલક મંડળના ડો. અનિલભાઈ મહેતા અને ભાણજીભાઈ આદ્રોજાએ શિક્ષણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા અને એકજૂથ થઈ કાર્ય કરવાની હાકલ કરી હતી. કાર્યક્રમની શરૂઆત સમિતિ પ્રમુખ સંજીવભાઈ જાવિયાના સ્વાગત પ્રવચનથી થઈ હતી, જ્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનજીભાઈ કુંભરવાડિયાએ આભારવિધિ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મુસ્તાકભાઈ ભોરિયાએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લાના શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો તેમજ વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બાબુલાલ હુંબલ, વિશાલભાઈ ગોધાણી, રાઘવભાઈ સંઘાણી, ભાવેશભાઈ, કામરિયા સાહેબ, ઉષાબેન સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.


