જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો સૌ પ્રથમ ધીરજનો ગુણ આવશ્યક છે. ધીરજ ધર્યા વગર સફળતા પ્રાપ્ત થતી નથી.મનસ્મૃતિમાં ધર્મના પ્રમુખ દસ લક્ષણોમાં પહેલું લક્ષણ ધીરજને ગણ્યું છે. ધીરજ રાખી સતત પ્રયત્ન કરવાથી સફળતા મળે છે. અનેક પ્રયત્ન કર્યા વગર સિદ્ધિ મળતી નથી.ઉતાવળ કરવાથી સફળતા મળે નહિ, નિષ્ફળતા જ મળે.આપણે ત્યાં કહેવત છે ને કે, ઉતાવળે આંબા ન પાકે ! તેના સમયે જ પાકે. તે માટે જરૂરી ધીરજ રાખવી અનિવાર્ય છે. આ દુનિયાની અંદર મોટાભાગના માનવીની ઇચ્છા હોય છે કે, તે જીવનમાં કાંઈક હાંસલ કરે, સફળતાના શીખરે પહોંચે. પરંતુ જીવનમાં સફળતાના શિખરે બહુ જ ઓછા માણસો પહોંચે છે.
કારણકે આજે મોટાભાગના માણસોને બધું જ તત્કાળ જોઈએ છે, અને તે પણ ઓછી મહેનતે જોઈએ છે.ધીરજએ એક પ્રકારનો સદ્ગુણ છે. ધીરજ વિના ધાર્યુ કાર્ય પાર પડતું નથી. ધીરજ એક પ્રકારનો ધર્મ છે. ધીરજ રાખ્યા વગર કોઈપણ કાર્ય સફળ થતું નથી.આપણાં જીવનમા મોટા ભાગનાં કાર્યો ઉતાવળને કારણે નિષ્ફળ થતા હોય છે. ધીરજ માનવીને સફળતા તરફ દોરી જાય છે. ધીરજના અભાવે ગેરલાભ થાય છે. ધીરજ ધરનારને સફળતાના સોનેરી સોપાન પ્રાપ્ત થાય છે.જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કેવી ધીરજ રાખવી જોઈએ ? તે શીખવું હોય તો થોમ્સ આલ્વા એડીસનના જીવનમાંથી આપણને શીખવા મળે છે.માઈકલ ફેરેડેએ ઇલેક્ટ્રિસિટીની શોધ કરી. પરંતુ લાઈટમાં કન્વર્ટ કરવા માટેની શોધ એડીસને કરી હતી.
વીજળીનો ગોળો બનાવવા માટે તેમણે દિવસ-રાત્રીની કઠણ મહેનત આદરી હતી. પરંતુ તેમને નિષ્ફળતા જ મળતી હતી. તેમણે ૧૦૦૦ જેટલા પ્રયોગો કર્યા, પરંતુ તેમણે સફળતા ન પ્રાપ્ત થઈ.એક દિવસ તેમને પત્રકારો મળવા માટે આવ્યા અને કહ્યું કે તમે આ ગોળો બનાવવાનું કાર્ય છોડી દો. સફળતા તો મળતી નથી. ત્યારે અડીસને કહ્યું કે, હું ક્યા નિષ્ફળ ગયો છું ? મેં ૧૦૦૦ વખત પ્રયત્ન કર્યો તેમાંથી ગોળો નથી બનાવી શક્યો એ વાત સાચી, પરંતુ ભવિષ્યમાં મને અને મારી પાછળ જે ગોળો શોધનારા છે. તેમને ખબર તો પડી ગઇ ને ? કે આ ગોળો શોધવા માટે આવા પ્રયત્નો કરવાની કોઈ જરૂર નથી. તેથી તેમને હવે મેં જે ૧૦૦૦ પ્રયત્નો કર્યા તે ફરી કરવા નહીં પડે .પત્રકારો એડીસનની આવી ધગશ, ધીરજ અને આત્મવિશ્વાસ જોઈને દંગ થઈ ગયા.એડીસને આ પ્રસંગ પછી પણ પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા અને આજે એમના એ પ્રયત્નોના કારણે સમગ્ર વિશ્વ ઝળહળી ઉઠયું છે. આપણે તેમની મહેનતના ફળ ભોગવીએ છીએ.

