મોરબીના શનાળા નજીક ધર્મલાભ સોસાયટીમાં રહેતા ધારેશભાઈ બચુભાઈ કૈડએ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓમાં દેવશીભાઈ બીજલભાઈ વેરાણા, હર્ષદભાઈ પોલાભાઈ ટમારિયા, મયુર ઉર્ફે દેવો દિલીપભાઈ કરોતરા, રમેશભાઈ મનાભાઈ વાંક અને ભરતભાઈ હેમુભાઈ સોલંકીનો સમાવેશ થાય છે.
ફરિયાદ મુજબ, ધારેશભાઈએ અલગ-અલગ આરોપીઓ પાસેથી કુલ લાખો રૂપિયાનું ધિરાણ ઊંચા વ્યાજદરે લીધું હતું. જેમાં દેવશીભાઈ પાસેથી 30 લાખ રૂપિયા 5 ટકા વ્યાજે લઈ અત્યાર સુધી 18 લાખ વ્યાજ ચૂકવ્યા હતા. હર્ષદભાઈ પાસેથી 20 લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લઈ 16 લાખ વ્યાજ ચૂકવ્યા હતા. મયુર ઉર્ફે દેવો પાસેથી 14 લાખ રૂપિયા 2.5 ટકા વ્યાજે લઈ 4.22 લાખ વ્યાજ ચૂકવ્યા હતા. રમેશભાઈ પાસેથી 10 લાખ રૂપિયા 2 ટકા વ્યાજે લઈ 2.40 લાખ વ્યાજ ચૂકવ્યા હતા, જ્યારે ભરતભાઈ પાસેથી 5 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લઈ 90 હજાર વ્યાજ ચૂકવ્યા હતા.
તેમ છતાં, આરોપીઓ સતત વધુ વ્યાજ અને મૂળ રકમની ઉઘરાણી માટે દબાણ કરતા હતા. વ્યાજ ચૂકવવામાં મોડું થતા ફોન પર ગાળાગાળી કરતા અને દેવશીભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે. વધુમાં, રમેશભાઈએ ફરીયાદીની દુકાન તેમજ પત્નીના મકાનના મૂળ દસ્તાવેજ કબ્જે કર્યા હોવાનું પણ જણાવાયું છે.
ફરિયાદમાં આક્ષેપ છે કે તમામ આરોપીઓએ મળીને ધમકી આપી અને ભય પેદા કરીને ફરીયાદી પાસેથી વ્યાજની ગેરકાયદેસર (પઠાણી) ઉઘરાણી કરી હતી. આ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

