અમદાવાદ શહેરના જજીસ બંગલો રોડ પર સ્થિત એનઆરઆઈ ટાવરમાં બુધવારે મોડી રાત્રે પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા તથા ક્લાસ–1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ દ્વારા રિવોલ્વર સાથે કોઈ કામગીરી કરતા હતા. તે દરમિયાન અકસ્માતે તેમની પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ઘટનાની સાથે જ યશરાજસિંહે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે તપાસ કરતા રાજેશ્વરી ગોહિલનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. પત્નીના મોતથી ઘોર આઘાતમાં આવી ગયેલા યશરાજસિંહે ત્યારબાદ પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
મળતી માહિતી મુજબ, દંપતી ગઈકાલે રાત્રે જમવા માટે એક સબંધીના ઘરે ગયા હતા અને જમીને ઘરે પરત આવ્યા બાદ આ બનાવ બન્યો હતો. ઘટનાના સમયે યશરાજસિંહની આશરે 60 વર્ષીય માતા ઘરના બીજા રૂમમાં હાજર હતા. આ બનાવની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે એનઆરઆઈ ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફ્લેટના રહેવાસીઓ સિવાય અન્ય કોઈને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. યશરાજસિંહ ગોહિલ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને થોડા સમય અગાઉ જ તેમને પ્રમોશન મળીને વર્ગ-2માંથી વર્ગ-1માં પ્રમોશન મળેલી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

