આજના સમયમાં લગ્ન અને સગાઈ તેમજ એ પહેલા પણ અલગ અલગ પ્રકારના ખર્ચ થતા હોય છે લગ્નમાં તો કદાચ ખર્ચ સમજી શકાય પણ સગપણમાં પણ ખુબ મોટા પ્રમાણમાં ખર્ચા થાય છે, દેખાદેખીમાં સામાન્ય, મધ્યમવર્ગ ગજા બહારના ખર્ચા કરી નાખે છે. ત્યારે આવા બધા લોકોને બોધપાઠ અને પ્રેરણા મળે તેવી બેમિસાલ સામાજિક પરંપરા મોરબીમાં સામે આવી છે. જેમાં વણકર સમાજ પોતાના દીકરા કે દીકરીનું સગપણ માત્ર અડધી ચા માં જ સંપન્ન કરે છે. જો કે આજના હાઈટેક અને મોંઘવારીના જમાનામાં આ વાત કોઈને કદાચ ગળે ન ઉતરે અને કલ્પનાશીલ લાગે.પણ આ બાબત દિવાસ્વપ્ન કે કલ્પના નહિ હકીકત છે
મોરબીના વણકર સમાજ સંતાનોની સગાઈ ઘરે નહિ પણ બહાર જાહેરમાં એટલે કેસરબાગમાં જ કરે છે. પહેલાં બન્ને પક્ષ દીકરા, દીકરી તેમજ, ઘર, પરિવારના સંસ્કારો, સામાજિક ઢાંચો જોઈ કેસરબાગમાં સગાઇ કરવાનું નક્કી કરે છે. એમાં આમંત્રણ પત્રિકા નહિ પણ અગાઉ રૂબરૂ પણ હવે ફોનથી સગા સંબંધીઓ હાજર રહેવાનું કહી દેવાય છે.
પછી સગાઈની નક્કી કરેલી તારીખે બન્ને પક્ષના લોકો કેસરબાગમાં એકઠા થાય છે અને સમૂહમાં બેસી ગોર મહારાજ નાળિયેર અને રૂપિયો ઝલાવી બધા વચ્ચે ઉભા થઈ મોટેથી નામ ઠામ બોલીને જે તે પરિવારના દીકરા દીકરી આજથી સગાઈના પવિત્ર બંધને બંધાયા એવું જાહેર કરે છે. બાદમાં બન્ને પક્ષના સગા સ્નેહીઓ વારંફરતી એકબીજાનું મીઠાઈ નહિ પણ માત્ર નાની સાકરની કણીથી મોઢું મીઠું કરાવે છે. તેમજ બધા લોકો અડધી ચા પીને છુટા પડે છે.

