દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે, જેને પગલે પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે. આજે સુરત, રાજકોટ તથા અંબાજીમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે. મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોનું સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શક્તિ દ્વાર ખાતે સુરક્ષાકર્મીઓ મેટલ-ડિટેક્ટરનો ઉપયોગ કરીને ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટમાં ઇન્ડિયા એ અને આફ્રિકા એની ટીમો જે હોટલમાં રોકાઈ છે તેમની સુરક્ષા વધારવામાં આવી છે.
સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્કાલિક પગલાં લીધાં છે અને ગઈકાલ રાતથી જ સુરત રેલવે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

સુરત રેલવે સ્ટેશન, જે હજારો મુસાફરોની અવરજવરનું મુખ્ય કેન્દ્ર છે ત્યાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસકાફલા સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સ્ટેશન પરિસરમાં કામગીરી વહેંચી દેવામાં આવી છે. મુસાફરોની બેગ, સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તેમજ પ્રવેશ દ્વાર પર ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દરેક શંકાસ્પદ વાહન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.


