HomeGujaratદેશ તો આઝાદ જ છે મનને આઝાદ કરો,સિનિયર પત્રકાર નિલેશ પટેલની કલમે

દેશ તો આઝાદ જ છે મનને આઝાદ કરો,સિનિયર પત્રકાર નિલેશ પટેલની કલમે

77 માં સ્વાતંત્ર્ય પર્વ ની આજે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે અંગ્રેજોની ગુલામી માંથી સ્વતંત્ર થયાની ખુશી તમામ દેશવાસીને હોય જ એ સ્વાભાવિક છે મારા તરફથી પણ તમામ દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ …

પણ મિત્રો મારા મનમાં એક સવાલ થાય છે કે સ્વતંત્ર્યતાની વ્યાખ્યા શુ કરવી ?? .. અંગ્રેજોના ત્રાસ માંથી મુક્તિ મળી એ સ્વતંત્ર્યતા ગણવી કે આપણું હતું એના પર આપણો હક ફરી પ્રસ્થાપિત થયો એ સ્વતંત્રતા ગણવી ?.. જો અંગ્રેજોના ત્રાસ માંથી મુક્તિને સ્વતંત્રતા ગણીએ તો શું આપણો દેશ આઝાદ થયો પછી બધા ત્રાસ દૂર થઈ ગયા ? .. ને જો આપણો હક ફરી પ્રસ્થાપિત થયો એને સ્વતંત્રતા ગણીએ તો જે આપણું હતું એને આપણે આપણું માનીને જીવ્યા છીએ 77 વર્ષ માં ક્યારેય ?

કદાચ બંને સવાલના જવાબ “ના” છે કારણ કે જો બધા ત્રાસ દૂર થઈ ગયા હોત તો દેશવાસીઓ માટે અદભુત સુવિધાઓ હોત જ .. અમેરિકાનો ડોલર આપણા રૂપિયા પાસે પાણી ભરતો હોત ..કારણ વિના બહાર જવાનું મન થાય એવા રોડ રસ્તા હોત .. ખૂબ જ સારી કક્ષાની તબીબી સુવિધાઓ હોત .. ઝૂંપડપટ્ટીઓ તો ના જ હોત .. કરોડો અબજોના કૌભાંડ પણ ના જ હોત .. મત માટે જ્ઞાતિઓના વાડા ના બન્યા હોત .. નેતાઓને ખબર જ હોત કે તેઓ જનતાના નોકર જ છે … જનતા રાજા જેવુ જીવન જીવતી હોત .. રોજગારી માટે ભટકવું ના પડતું હોત .. નેતાઓના એકાઉન્ટ સ્વિસ બેન્કમાં ના હોત ..

અને જો આપણું માનીને જો 77 વર્ષથી જીવ્યા છીએ તો .. કેમ પ્રજા ના પૈસા સ્વિસ બેન્ક માં પહોંચી જાય છે ? .. કેમ હજી દેશમાં સારા રોડ રસ્તા પણ નથી ? .. કેમ હજી દેશમાં 100% લોકો સુધી વીજળી નથી પહોંચી ? .. કેમ હજી તબીબી સેવાઓ ઉચ્ચ કક્ષાએ નથી પહોંચાડી શક્યા ?.. કેમ જ્યાંને ત્યાં ઝૂંપડપટ્ટીઓ જોવા મળે છે ? .. કેમ યુવાનો ડીગ્રી લઈને નોકરી માટે ભટકી રહ્યા છે ?.. કેમ ગંદા રાજકારણનો ભોગ જનતા બની રહી છે ? .. કેમ જ્ઞાતિઓનું વિભાજન થઈ રહ્યું છે ?.. કેમ સરકારી કામના નાણાં કોન્ટ્રાક્ટરો ચાઉં કરી શકે છે ? .. કેમ પૈસા આપ્યા વિના કોઈ કચેરી માં ફાઇલ આગળ નથી વધી રહી ? .. કેમ જગતનો તાત બુમરાંગ મચાવી રહ્યો છે ?.. દરેક વર્ગ કોઈ ને કોઈ તકલીફોથી પીડાઈ રહ્યો છે .. જનતાના નોકરો રાજ કરી રહ્યા છે ને જનતા જ નોકર બની ગઈ છે .. કેમ દેશ ગંદકીમાં સબડી રહ્યો છે ? .. કેમ દેશના નેતાઓ ગૃહમાં જ ખુરશી યુદ્ધ કરી રહ્યા છે ?.. આવા અનેક સવાલ સાબિત કરે છે કે આપણે આપણા દેશને આપણો સમજીને નહીં પણ મારે મારુ જોવાનું આ નીતિ થી જીવી રહ્યા છીએ

આપણા દેશમાં શિક્ષણમાં હજી પણ માત્ર કોણે શુ કર્યું એ જ શીખવાડવામાં આવે છે .. શુ નવું કરી શકાય એવું વિચારવા જેવો સમય જ ક્યારેય ન આવ્યો .. ફક્ત સમસ્યાઓ જ આવતી રહી છે ખુશીઓની એ પલ ક્યારેય ન આવી જેમાં દરેક લોકો ખુશ હોય ..આપણા દેશને અંગ્રેજોની ગુલામી માંથી મુક્તિ અપાવવા માટે આપણા દેશના કેટલાય રિયલ હીરોએ પોતાના જીવ આપી દીધા છે પરંતુ આપણે એ બલિદાનની કિંમત ચુકવવાની તો દૂરની વાત છે પણ એ બલિદાનની કિંમત સમજવામાં પણ ઉણા ઉતર્યા છીએ ને એ જ વાસ્તવિકતા છે

77 વર્ષ પહેલાં જ્યારે એક નવા ભારતનું નિર્માણ શરૂ થયું એના હેતુઓ કેમ વિસરાઈ ગયા છે ? .. દેશના તમામ નાગરિકોને ભાઈ બહેન સમજવાની ભાવના ક્યાં ગઈ ? .. આખો દેશ આપણો છે ને કઈ ખરાબ થશે તો એ આપણા જ પરિવારનું ખરાબ થશે પરિવારની એ લાગણી પોતાના વ્યક્તિગત હિતની મહત્વકાંક્ષા માં કેમ વિલીન થઇ ગઈ છે ? .. સૌ કોઈ આજે સમજ્યા વિના જ તાબોટા પાડી રહ્યા છે ખોટું થતું હોય તેને અટકાવવા કોઈ આગળ આવતું નથી પરંતુ પછી ખોટા બરાડા પાડીને બીજા નું જીવવું પણ મુશ્કેલ બનાવી રહ્યા છે .. દેશ પાસેથી બધા ને બધું જ જોઈએ તો છે પરંતુ દેશ માટે પોતાની સાચી દેશભક્તિ દેખાડવા કોઈ તૈયાર નથી ..પણ હા ફક્ત દેખાવ તો થાય જ છે દેશભક્તિનો પરંતુ એમાં નૈતિકતાનું તત્વ જ દેખાતું નથી ને એટલે જ કદાચ આટલા વર્ષો પછી પણ દરેક વર્ગ મનમાં ને મનમાં મૂંઝાઈ રહ્યો છે

દેશના દરેક નાગરિકને પોતાની ફરજ અદા કરવાની નૈતિકતાની જરૂર છે ને એવું થશે તો જ દેશ ની સમસ્યાઓનો અંત આવવાની શરૂઆત થશે બાકી દર વર્ષે 15 ઓગસ્ટ આવશે જ ને આઝાદીના વર્ષ માં પણ એક વર્ષ ઉમેરાશે જ પરંતુ સાચા અર્થમાં આઝાદીનો આનંદ મેળવવો અશક્ય જ લાગશે આપણા દેશમાં જેને જે સાચું લાગે બેફામ બોલવાની છૂટ છે આનાથી મોટી આઝાદી શુ હોઈ શકે .. જે તંત્ર અને નેતાઓ કામ નહીં કરતા હોવાના બળાપા રોજ સોસીયલ મીડિયામાં ઠલવાય છે એ બંનેતો પ્રજાના સેવક છે તો એ કેમ કામ ન કરે ? એમને કામ કરતા કેમ કરવા એ જનતાએ જ વિચારવાનું છે બાકી કોઈ ક્યારેય કામ નહીં જ કરે ને જ્યાં સુધી એવું નહીં થાય ત્યાં સુધી સ્વાતંત્ર્ય પર્વની ખુશી દિલથી તો ક્યારેય નહીં જ થઈ શકે .. જયહિંદ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW