બુધવારે સવારે ઝારખંડના પાકુરમાંથી જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દસ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ઝારખંડના પાકુરથી દુમકા જઈ રહેલી બસ લિટ્ટીપાડા-અમદાપારા રોડ પર પેડરકોલા પાસે ગેસ સિલિન્ડરો ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ બસમાં 40થી વધુ પ્રવાસીઓ બેઠા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને કારણે આશરે 25 લોકોને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

બસ અને ગેસથી ભરેલા સિલિન્ડરના ટ્રક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કાગળની જેમ પડીકું વળી ગયા હતા. બસમાં બેઠેલા લોકો અંદર ફસાઈ ગયા હતા. બસના પતરાને કાપીને કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ એવું પણ જણાવ્યું કે આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની પૂરી આશંકા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, ક્રિષ્ના રજત નામની બસ અને એલપીજી સિલિન્ડર ભરેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બંને વાહનો એટલા સ્પીડમાં હતા કે, બંને વાહનોના ફુરચા ઉડી ગયા હતા. બસની કેબિન તો કાગળની જેમ પડીકું વળી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ થઈ શકી નથી. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણકારી મળતા જ આસપાસમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. યુદ્ધના ધોરણે બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. પોલીસ અને એમ્બ્યુલન્સ પહેલા ઈજાગ્રસ્તોને લોકોએ પ્રાથમિક સારવાર માટે રવાના કર્યા હતા. ગ્રામ્ય વિસ્તારના લોકો બચાવકાર્યમાં લાગી ગયા હતા.

અકસ્માત બાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ક્લેક્ટર સહિત પોલીસ ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ હેતું માટે પહોંચેલા પોલીસ સ્ટાફનું માનીએ તો એવું લાગી રહ્યું છે કે, વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે આ અકસ્માત થયો હશે. ટ્રક ચાલકને સામેથી આવી રહેલી બસ દેખાઈ ન હતી. ટ્રક ચાલકે બસને ટક્કર મારી દીધી હતી. જ્યારે બસનો અકસ્માત થયો ત્યારે બસમાં મોટાભાગના પ્રવાસીઓ સૂઈ ગયા હતા. તેથી પ્રવાસીઓને બચવાની એક તક પણ મળી ન હતી.

