અમદાવાદ, બુધવાર
આગામી બે દિવસ સરકારી બેંકો બંધ રહેશે કારણ કે ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશનએ 16-17 ડિસેમ્બરે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની હડતાળ જાહેર કરવામાં આવી છે. આ દેશ વ્યાપી હડતાળમાં ગુજરાતની બેંકોની 4800 બ્રાન્ચના 70 હજાર બેન્ક કર્મચારીઓ જોડાશે. જેના કારણે અંદાજે 20 હજાર કરોડના બેન્ક વ્યવહારને અસર થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. બેંક કર્મીઓ જેપી ચોક ખાનપુરથી લઇને વલ્લભસદન સુધી રેલી યોજી વિરોધ નોંધાવશે.
બેંકોના ખાનગી કરણના વિરોધમાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ ફેડરેશન દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. વધુને વધુ બેન્ક કર્મચારીઓ આ હડતાળમાં જોડાય તે અંતે સોશિયલ મીડિયામાં પણ આંદોલનનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દેશવ્યાપી હડતાળમાં પુરા દેશમાંથી 10 લાખ બેન્ક કર્મચારીઓ જોડાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયનના જનરલ સેક્રેટરી જનક રાવલ જણાવે છે કે રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણ સામે બેંક કર્મચારીઓએ હવે બાયો ચઢાવી છે. બેંક કર્મચારીઓ શિયાળુ સત્રમાં આવનાર બેન્કિંગ એમેન્ડમેન્ટ લો સુધારા વિધેયકનો પણ વિરોધ કરી રહ્યા છે. આ કાયદા અનુસાર સરકાર રાષ્ટ્રીયકૃત બેંકને ખાનગી માલિકને સોપી શકે છે. એટલે બેંકોનું ખાનગીકરણ થઈ શકે છે.નિર્ણયથી બેંકના ગ્રાહકોને પણ મોટી અસર થશે. બેંકના થાપણદારોએ બેંકમાં મુકેલી થાપણ એક જ ઠરાવથી ખાનગી માલિકના હાથમાં જવાનો પણ ડર છે. બેન્ક કર્મચારીઑના દાવા પ્રમાણે ખાનગી માલિકના હાથમાં સત્તા જતી રહેશે.આથી બેન્કના થાપણદારો તેમજ કર્મચારીઑને મોટું નુકસાન થવાની ભીતિ છે. જેના વિરોધમાં અગાઉ પણ 7 ડિસેમ્બરએ ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. બેંકોના ખાનગીકરણ સામે આમ જનતાને જાગૃત કરવા ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન અભિયાન ચલાવાઈ રહ્યું છે. (તસવીર પ્રતિકાત્મક છે)

