મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા 21 વર્ષીય કરણભાઈ ઉર્ફે જતીન દિનેશભાઈ ડાંગરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મનોજભાઈ પનારા, યોગેશભાઈ તથા ચારથી પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તેમના મોટાબાપુના દીકરા મુકેશભાઈ ડાંગર સાથે આરોપીઓને અગાઉ કોઈ બાબતે તકરાર થઈ હતી. તે દરમિયાન કરણભાઈ પોતાના મોટાબાપુના ઘરે હાજર હતા ત્યારે આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા. આરોપી મનોજ પનારા અને યોગેશભાઈએ મુકેશ ડાંગર અંગે પૂછપરછ કરી અપશબ્દો બોલ્યા હતા અને ધક્કો મારી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ આરોપીઓએ કરણભાઈનો કોલર પકડી તેમને ઘરની બહાર શેરીમાં ખેંચી લઈ ગયા હતા. જ્યાં મનોજ પનારાએ ઢીકાપાટુનો માર મારી છરી વડે જમણા હાથની હથેળી અને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. ઉપરાંત યોગેશભાઈ તથા તેમની સાથે આવેલા ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ પણ મારપીટ કરી ઝપાઝપી દરમિયાન છાતીના ભાગે નખના નિશાન સાથે ઇજાઓ પહોંચાડી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપી મનોજ પનારાએ ફરિયાદી અને તેમની સાથે રહેલા લોકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે મનોજભાઈ પનારા, યોગેશભાઈ અને અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

