કોલંબો,રવિવાર
પાકિસ્તાનમાં હિંસક ટોળા દ્વારા શ્રીલંકાના નાગરિકને માર મારવામાં આવ્યો અને તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો. શ્રીલંકાની સંસદ દ્વારા આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી હતી. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ન્યાયનું આશ્વાસન આપતા કહ્યું કે આ પાકિસ્તાન માટે શરમનો દિવસ છે. મૃતકની ઓળખ પ્રિયંથા કુમારા દિયાવદના તરીકે થઈ છે. તેની પર ઈશનિંદાનો આરોપ મૂકીને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હવે તેની પત્નીએ પાકિસ્તાન અને શ્રીલંકા બંને સરકાર પાસે ન્યાયની માંગ કરી છે. તેણે કહ્યું કે તેનો પતિ નિર્દોષ છે.
તહરીક-એ-લબૈક પાકિસ્તાન નામના કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠનના સમર્થકો દ્વારા દિયાવદના ની હત્યા કરવામાં આવી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ પહેલા શુક્રવારે એક ફેક્ટરી પર હુમલો કર્યો અને પછી દિયાવદના ને માર માર્યો અને તેને જીવતો સળગાવી દીધો. આ ઘટનાને કારણે લોકોના વધતા ગુસ્સાને જોઈને પાકિસ્તાન સરકારે 800થી વધુ લોકો વિરુદ્ધ આતંકવાદી કાયદા હેઠળ કેસ નોંધ્યો છે. 13 શંકાસ્પદો સહિત 118 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતની છે.
દિયાવદાના 2010માં પાકિસ્તાન આવ્યા હતા
દિવદાનની ઉંમર 40 વર્ષની નજીક હતી. તે 2010માં રોજગારની શોધમાં પાકિસ્તાન આવ્યો હતો અને 2012થી સિયાલકોટની એક ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતો હતો. મૃતકની પત્નીએ કહ્યું કે, ‘મને મારા પતિની ઘાતકી હત્યાની ખબર સમાચારથી મળી. પાછળથી મેં ઈન્ટરનેટ પર પણ જોયું. તે નિર્દોષ હતો..હું પાકિસ્તાન અને શ્રીલંકાના નેતાઓને વિનંતી કરું છું કે તેઓ ગુનેગારોને પકડીને મારા પતિ અને બે બાળકોને ન્યાય અપાવે.
મંત્રીઓએ દિયાવદનાના ઘરની મુલાકાત લીધી હતી
મંત્રીઓ નમલ રાજપક્ષે અને પ્રસન્ના રણતુંગાએ શનિવારે અહીંથી લગભગ 22 કિમી દૂર ગનેમુલ્લામાં દિયાવદનાના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.પેરાડેનિયા યુનિવર્સિટીના સ્નાતક દિયાવદાનાના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. પાકિસ્તાનમાં શ્રીલંકાના હાઈ કમિશનર વાઈસ એડમિરલ મોહન વિજેવિક્રમાએ જણાવ્યું હતું કે સોમવારે વિશેષ વિમાન દ્વારા દિયાવદનાના મૃતદેહને લાહોરથી કોલંબો લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લાહોરથી લગભગ 100 કિમી દૂર સિયાલકોટ જિલ્લામાં રાજકો ઈન્ડસ્ટ્રીઝમાં દિયાવદાના મેનેજર તરીકે કામ કરતા હતા.

