મોરબી જિલ્લાના ગોર ખીજડીયા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ હતી. પ્રધાનમંત્રીના સેવા, સુશાસન અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને કૃષિ વિભાગે સંયુક્ત ઉપક્રમે તેનું આયોજન કર્યું હતું.
કાર્યક્રમમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને સંબોધ્યા હતા. તેમણે ઉત્પાદન ખર્ચ ઘટાડવા, પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા અને ‘આત્મનિર્ભર કૃષિ’ તરફ આગળ વધવા પ્રેરણા આપી. ધારાસભ્યએ કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ તથા ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પ વિશે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે પ્રાકૃતિક અને ગૌ-આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા ૨૦ માહિતીપ્રદ કૃષિ સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું. આ સ્ટોલ્સ પર જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, મલ્ચિંગ, વાપસા ટેકનિક અને જૈવિક ઇનપુટ્સ જેવી પદ્ધતિઓ વિશે ખેડૂતોને માહિતી અપાઈ હતી. ખેડૂતોએ નિષ્ણાતો સાથે પ્રશ્નોત્તરી કરીને આધુનિક અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું.
કાર્યશાળામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ ખેતી નિયામક કે.જી. પરસાણિયા, કે.એમ. ડાભી, વી.એચ. નકુમ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કૃષિ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા.

