મોરબી જિલ્લાના વીરપર ખાતે આવેલી નવયુગ કોલેજમાં ઇસ્કોન દ્વારા ‘પિલર્સ ઓફ લીડરશીપ’ વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવા તેમજ તેમના વ્યક્તિગત અને સામાજિક જીવનમાં મૂલ્ય આધારિત વિચારો કેળવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
સેમિનારમાં સમજાવવામાં આવ્યું હતું કે પરિવારથી લઈને સમાજ, રાજ્ય અને દેશના વિકાસ માટે સારા અને જવાબદાર નેતૃત્વની ભૂમિકા મહત્વપૂર્ણ છે. માત્ર નેતા બનવું પૂરતું નથી, પરંતુ તેના વિચારો, સંસ્કારો, માનસિક સ્થિરતા અને જીવનમૂલ્યો મજબૂત હોવા પણ જરૂરી છે. જેમ મજબૂત પાયા વિના મકાન ટકી શકતું નથી, તેમ મજબૂત આંતરિક આધાર વિના નેતૃત્વ પણ અસરકારક બની શકતું નથી.
વિદ્યાર્થીઓને જીવનમાં આવતી વિવિધ સમસ્યાઓ, તણાવ, કુટેવો અને માનસિક અશાંતિનો સામનો કરવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. દૈનિક જીવનમાં યોગ્ય નિર્ણયશક્તિ, આત્મવિશ્વાસ, શિસ્ત અને સકારાત્મક વિચારસરણી વિકસાવવામાં ગીતાના સિદ્ધાંતો કેવી રીતે ઉપયોગી બની શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ઇસ્કોન દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા નિઃશુલ્ક આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ગીતાના જ્ઞાનનો અભ્યાસ કરી તેને જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માટે ઇસ્કોન તરફથી ડો. અતુલે નવયુગ કોલેજના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને સેમિનાર યોજવાની મંજૂરી આપવા બદલ સંસ્થાનો આભાર માનવામાં આવ્યો હતો.
ઇસ્કોન દ્વારા શાળા, કોલેજ અથવા સોસાયટીમાં નિઃશુલ્ક ગીતા સેમિનારનું આયોજન કરાવવા ઇચ્છુકો માટે સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ડો. અતુલનો સંપર્ક નં. 70167 07756 પર કરી શકાય છે.

