ટંકારા તાલુકાના વાઘગઢ ગામની શાળામાં સ્વ. કાનજીભાઈ વેલાભાઈ ફુલરીયાની સ્મૃતિમાં તેમના પરિવારજનો દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રવાપર નિવાસી તેમના પુત્રો વસંતભાઈ, રામભાઈ ચમનભાઈ, પ્રવીણભાઈ અને અરવિંદભાઈના સંયુક્ત પ્રયાસથી શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના દરેક વિદ્યાર્થીને સ્કૂલ યુનિફોર્મની એક જોડી કપડાં ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. પિતાની સ્મૃતિને માત્ર વિધિ પૂરતી મર્યાદિત ન રાખી બાળકોના શિક્ષણ અને ભવિષ્યને મદદરૂપ થાય તેવા સેવાકાર્ય દ્વારા તર્પણ કરવાનો પરિવાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ફુલરીયા પરિવારે જણાવ્યું હતું કે શિક્ષણને પ્રોત્સાહન આપવું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગદાન આપવું એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. ‘વિકસિત ભારત, શિક્ષિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં નાનકડું યોગદાન આપવાની ભાવના સાથે આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ફુલરીયા પરિવાર અગાઉ પણ સ્વ. કાનજીભાઈની સ્મૃતિમાં વાઘગઢની આ જ શાળામાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની ભેટો તેમજ બટુક ભોજનનું આયોજન કરતો રહ્યો છે. પરિવારજનોને શિક્ષિત અને વિકસિત ગામના નિર્માણમાં યથાશક્તિ યોગદાન આપીને સંતોષ અને ધન્યતાની લાગણી અનુભવે છે.
આ સેવાકીય પ્રવૃત્તિ બદલ વાઘગઢ ગામ તથા શાળા પરિવારે ફુલરીયા પરિવારનો આભાર વ્યક્ત કરી તેમના સેવાભાવને બિરદાવ્યો હતો.

