મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ‘PM CARES for Children’ યોજના અંતર્ગત આવરી લેવાયેલા બાળકોના સર્વાંગી ઉત્કર્ષ માટે ‘વન-ટુ-વન સંવાદ’ યોજ્યો હતો. આ સંવાદમાં કલેક્ટરે એક વાલી તરીકે બાળકો સાથે અત્યંત સંવેદનશીલ અને આત્મીય સંવાદ સાધ્યો હતો. કલેક્ટરે જણાવ્યું હતું કે, આ બાળકો આપણા સમાજ અને વહીવટી તંત્રની સંયુક્ત જવાબદારી છે. બાળકો ક્યારેય પોતાને એકલા ન સમજે, મોરબી જિલ્લા વહીવટી તંત્ર હંમેશાં તેમની પડખે ઊભું છે અને તેમનો અભ્યાસ અવિરત ચાલુ રહે તે માટે તંત્ર સદાય કટિબદ્ધ છે.
સંવાદ દરમિયાન કલેક્ટરે તમામ બાળકો સાથે બેસીને અલ્પાહાર કરી તેમની સાથે સંવાદ કરતા પ્રત્યેક બાળકના શિક્ષણ અને સ્વાસ્થ્ય (Health) ની સ્થિતિ જાણી હતી. જેમાં બાળકોના ચાલુ અભ્યાસની વિગતો, શાળા-કોલેજની સુવિધાઓ, ભવિષ્યના શૈક્ષણિક લક્ષ્યો તેમજ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી તબીબી સેવાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ સાથે જ, બાળકો અને તેમના વાલીઓને રોજિંદા જીવનમાં પડતી સામાજિક, આર્થિક કે વહીવટી મુશ્કેલીઓ વિશે પૃચ્છા કરી સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓને ત્વરિત ઉકેલ લાવવા જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. બાળકોના અભ્યાસ ઉપરાંત રમત-ગમત, સંગીત અને ચિત્રકામ જેવી ઇતર પ્રવૃત્તિઓ (Hobbies) અને કલા-કૌશલ્યો વિશે પણ હકારાત્મક ચર્ચા કરતા કલેક્ટરશ્રીએ બાળકોની આ પ્રતિભાઓને બિરદાવી ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. આ સંવાદ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

