ટંકારા તાલુકાના સરાયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અનીલભાઈ જશમતભાઈ ઢેઢી દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, સરાયા ગામે તેમની વાડીમાં ખેત મજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ રેવસીંગ કતિજા, જે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે, તેમને પોતાની પત્ની રુકમાબેન પર અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાનો વહેમ હતો.
આ શંકાને કારણે લક્ષ્મણભાઈએ રુકમાબેન (ઉંમર અંદાજે 43) પર ગુસ્સે થઈ માથા અને મોઢાના ભાગે ઈંટ જેવી બોથડ વસ્તુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ થતાં રુકમાબેનનું મોત નિપજ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

