મોરબી: ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોની સુરક્ષા અને સુવિધા માટે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. વરસાદી પરિસ્થિતિમાં પાણી ભરાવા, વૃક્ષો પડવા, ગટર સંબંધિત સમસ્યાઓ અથવા અન્ય કોઈપણ ઇમરજન્સી અંગે તાત્કાલિક જાણ કરી શકાય તે માટે મનપાએ બે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.
મહાનગર પાલિકાના જણાવ્યા મુજબ, શહેરીજનો ચોમાસા સંબંધિત કોઈપણ ફરિયાદ અથવા આપત્તિની સ્થિતિમાં કંટ્રોલ રૂમના ફોન નંબર (02822) 220552 અને (02822) 220553 પર સંપર્ક કરી શકશે. મનપાએ નાગરિકોને અપીલ કરી છે કે ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરી જરૂરી મદદ મેળવવી. શહેરીજનોને ઝડપથી ઇમરજન્સી સેવા મળી રહે તે માટે આ વ્યવસ્થા સતત કાર્યરત રાખવામાં આવી છે.

