મોરબી જિલ્લા કક્ષના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચકક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘સ્વાગત’ (State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમ અમલી છે. જે અંતર્ગત મોરબી જિલ્લાનો આગામી જુલાઈ-2026 માસનો ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ‘ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તા. 23/07/2026ના રોજ સવારે 11 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે, જેમાં અરજદારો પોતાના પ્રશ્નોની સીધી રજૂઆત કરી શકશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારોએ માર્ચ માસના કાર્યક્રમ માટે પોતાની અરજીઓ 10 તારીખ સુધીમાં જે-તે વિભાગની જિલ્લા કક્ષાની કચેરીએ મોકલી આપવાની રહેશે. અરજીના મથાળે ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ‘ તેવું સ્પષ્ટ લખવાનું રહેશે તેમજ અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર સહી સાથે દર્શાવવા અનિવાર્ય છે.
નોંધનીય છે કે, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરતા પહેલા અરજદારે ગ્રામ કે તાલુકા કક્ષાએ જવાબદાર અધિકારીને અગાઉ લેખિત રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય તેવા જ પ્રશ્નો અહીં ગ્રાહ્ય રાખવામાં આવશે. વધુમાં, નીતિવિષયક પ્રશ્નો, કોર્ટ મેટર હેઠળના કે સબ-જ્યુડિસ પ્રશ્નો, વ્યક્તિગત આક્ષેપો ધરાવતી અરજીઓ, સેવાકીય બાબતો જેવી કે પેન્શન અને પગારના પ્રશ્નો અથવા જે પ્રશ્નો અગાઉ ‘જિલ્લા સ્વાગત’ માં રજૂ થઈ ચૂક્યા હોય તેવી રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં. 10 તારીખ પછી મળેલી અરજીઓ હવે પછીના માસના કાર્યક્રમમાં ધ્યાને લેવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

