મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં ખાણી-પીણી અને ફરસાણના વેપારીઓ સામે સઘન ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા શહેરની કુલ 56 જેટલી દુકાનો અને પેઢીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન અનેક સ્થળોએ વાસી, અખાદ્ય તેમજ નિયમોનું પાલન ન કરતા ખાદ્ય પદાર્થો મળી આવતા તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ સંબંધિત વેપારીઓને નિયમોના ભંગ બદલ નોટિસ પણ આપવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન અમૂલ ડેરી ફાર્મમાંથી બેક્ટેરિયલ કલ્ચરના એવા પેકેટ મળી આવ્યા હતા, જેના પર લાયસન્સ નંબર દર્શાવવામાં આવ્યો ન હતો. તેથી આ પેકેટોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પ્રકાશ બેકરીમાં બ્રેડ પાઉ પર એક્સપાયરી તારીખનો ઉલ્લેખ ન હોવાથી તે અખાદ્ય ગણાવી નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વજુભાઈ બ્રેડવાળા અને લાલજીભાઈ બ્રેડવાળાની દુકાનમાંથી પણ એક્સપાયરી તારીખ વગરની બ્રેડ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ટુડે બેકરીમાંથી એક્સપાયરી તારીખ વગરના ટોસ્ટ અને આઇસક્રીમનો જથ્થો મળી આવતા તેનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે રોયલ સુપરમાર્કેટમાંથી સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલા ખાદ્ય પદાર્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર અભિયાન દરમિયાન ફૂડ શાખાએ કુલ 43 વેપારીઓને સ્વચ્છતા જાળવવા, ફૂડ લાયસન્સના નિયમોનું પાલન કરવા તેમજ વાસી અને અખાદ્ય ખોરાકનું વેચાણ ન કરવા અંગે નોટિસ પાઠવી હતી. ફૂડ શાખાએ વેપારીઓને ચેતવણી આપી છે કે આગામી સમયમાં પણ આવી તપાસ વધુ કડક રીતે ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


