મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જયંતીભાઈ ચૌહાણ (ઉ.વ. 26)એ બે શખ્સો સામે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, તેમના પિતાની સારવાર માટે તાત્કાલિક નાણાંની જરૂર પડતા મુકેશભાઈએ આરોપી કાનાભાઈ ભરતભાઈ ગઢવી પાસેથી માસિક 40 ટકા વ્યાજે રૂ. 90,000 ઉધાર લીધા હતા. ઉપરાંત તેમના પિતાએ પણ કાનાભાઈ પાસેથી માસિક 20 ટકા વ્યાજે રૂ. 2 લાખ લીધા હતા. જ્યારે ફરિયાદીના ભાઈ રાહુલભાઈએ આરોપી જીગ્નેશભાઈ ભરતભાઈ ગઢવી પાસેથી માસિક 20 ટકા વ્યાજે રૂ. 2.40 લાખ ઉધાર લીધા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓએ અત્યાર સુધી મૂળ રકમ કરતા પણ વધારે વ્યાજ ચુકવી દીધું હોવા છતાં આરોપીઓ સતત દબાણ કરી નાણાંની ઉઘરાણી કરતા હતા. આ દરમિયાન આરોપીઓએ મુકેશભાઈ સાથે ઝઘડો કરી બરણી તથા ઢીકા-પાટુ વડે મારમારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

