મોરબી શહેરના રોહિદાસપરા વિસ્તારમાં આવેલા રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમ નજીક રહેતી એક મહિલાએ પાડોશીઓ વિરુદ્ધ મારામારી અને ધમકી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદ મુજબ, રચનાબેન નરેશભાઈ પંડ્યા (ઉ.વ.26) પોતાના ઘરની આસપાસ સાફસફાઈ કરી ઘાસ તથા કચરો સળગાવી રહ્યા હતા. તે દરમિયાન નજીકમાં રહેતા ગીતાબેન દેવજીભાઈ પરમાર, દેવજીભાઈ મુળજીભાઈ પરમાર, ડેનીશભાઈ દેવજીભાઈ પરમાર અને રૂષીભાઈ દેવજીભાઈ પરમાર ત્યાં આવી પહોંચ્યા હતા. કચરો સળગાવવાના મુદ્દે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો.
ફરીયાદીનો આક્ષેપ છે કે, આરોપીઓએ તેમને અશ્લીલ ગાળો આપી ઝઘડો કર્યો હતો અને કચરો-પોતુ કરવાની લાકડી વડે માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે રચનાબેન દ્વારા મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

