અમદાવાદમાં દિન-પ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી. મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો.
આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજામાં સગીરનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીને રાજસ્થાનના શીરોહી પાસેથી પોલીસે પકડી લીધા છે.
લેઉવા પાટીદાર સમાજમાં અગ્રણી એવા હિંમતભાઈ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. નરોડા, નિકોલ વિસ્તારમાં તેમની કન્સ્ટ્રકશન સાઈટો ચાલે છે. ઠક્કરબાપાનગર બ્રિજ પાસે પણ તેમણે પાટીદાર સમાજના બાળકો રહી અને ભણી શકે તેના માટે હોસ્ટેલ બનાવી છે. પાટીદાર સમાજના અગ્રણીની હત્યાને પગલે સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે.
પોલીસની તપાસમાં મૃતક પાટીદાર અગ્રણી હોવાનું સામે આવ્યું
મળતી માહિતી મુજબ, શહેરના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની સામેના ભાગે વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કારમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક લોકોને થઈ હતી, તેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ગાડીમાં તપાસ કરતા અજાણી વ્યક્તિની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ પડેલો હતો. પોલીસની તપાસમાં હિંમતભાઈ રૂડાણી નામના બિલ્ડરનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. હિંમતભાઈ પોતે પાટીદાર સમાજના અગ્રણી છે.

