વાંકાનેરના જીનપરામાં દશનામ ગોસ્વામી સમાજની વાડી ખાતે સ્વ. પદમાબેન મહેશભાઈ નાગ્રેચાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ, મહારક્તદાન કેમ્પ, તુલસી તથા વૃક્ષોના રોપાનું વિતરણ સહિત સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું.
જેમાં બ્લડ ડોનેશન કેમ્પમાં દાતાઓ ઉમટી પડ્યાં હતા, દરેક સેવાઓનો લાભ લેવા પ્રજાજનોની કતારો લાગી હતી. આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ સાથે પંથકના નાગરિકો માટે આધાર કાર્ડમાં સુધારા-વધારા, રેશનકાર્ડ કેવાયસી, પોસ્ટને લગતી યોજનાઓની માહિતી, મહિલા રોજગાર યોજનાઓના ફોર્મ પણ ભરી આપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી આ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમજ વર્તમાન સમયમાં રક્તની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખી યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ હોંશભેર ઉમટી પડ્યાં હતા. રક્તદાતાઓએ 115 બોટલ રક્ત એકત્રિત કરી આપ્યું હતું, જ્યારે નિદાન તથા સારવાર માટે 485 લોકોએ લાભ લીધો હતો તેમજ KYC માટે 342 લાભાર્થીઓએ લાભ લીધો હતો સાથે જ રોપા વિતરણ કરવામાં આવેલ જેમાં વિવિધ ફૂલ છોડના એક હજાર આસપાસ રોપા વિતરણ કરવામાં આવેલ. સ્વ. પદમાબેન મહેશભાઈ નાગ્રેચાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે નાગ્રેચા પરિવાર દ્વારા સતત ત્રીજા વર્ષે સદગતના આત્માના કલ્યાણ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામા આવી રહી છે. આ કેમ્પમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, પાલિકાના ઉપપ્રમુખ હર્ષિત સોમાણી , પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા , શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પરેશભાઈ મઢવી તેમજ ડાયાલાલ ભરવાડ, ભરતભાઈ પટેલ તથા બ્રિજરાજસિંહ ઝાલા સહિતના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જીગ્નેશભાઈ નાગ્રેચા તથા નાગ્રેચા પરિવાર સાથે ચેતનભાઈ ગોસ્વામી, ભૌમિકભાઈ ગોસ્વામી સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

