વડોદરામાં આવેલ ગોલ્ડન ચોકડી પાસે આવેલ ભંગાર ડેલામાં ભંગારનો વેપાર કરતાં મૂળ રાજસ્થાનના બે યુવકોનું 4 જેટલા શખ્સોએ બેટરી ચોરી કર્યાની આશંકા રાખી અપહરણ કર્યું હતું અને બન્નેને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેમજ બાદમાં સામ સામે મરચા ખવડાવ્યા હતા અને ઢોર માર મારવાના કારણે એક યુવકનું મોત નિપજ્યું હતું. બીજા એક યુવક ને ગંભીર હાલતમાં વાપી નજીક ગાડીમાં લઈ જઈ મુક્ત કરી દીધો હતો. સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મૃતક યુવક અપહૃત પૈકીનો સાળો છે.અપહરણ બાદ મુક્ત થયેલા ઇજાગ્રસ્ત કૈલાસનાથને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે રાજુનાથના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ તેનું પેનલ પોસ્ટમોર્ટમ આજે સોમવારે કરવામાં આવશે. બનાવ અંગે યુવકની ફરિયાદ આધારે પોલીસે આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને બીજા બે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
મૃતકના પરિવારજન સમુદ્રનાથ યોગીના જણાવ્યા અનુસાર વડોદરા શહેર નજીક આવેલી ગોલ્ડન ચોકડી પાસે ભંગારનો વેપાર કરતા સાળા-બનેવી એવા કૈલાશનાથ અને રાજુનાથને ત્યાં કોઈ જૂની બેટરી વેચી ગયું હતું. આ બેટરી ચોરીની હોવાની શંકાને આધારે ગોલ્ડન ચોકડી નજીક ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા માલધારી સમાજના ચારથી પાંચ શખ્સો ભંગારની દુકાને આવ્યા હતા અને કૈલાશનાથ તેમજ રાજુનાથનું અપરણ કરી ગાડીમાં બેસાડી તેમને લઈ ગયા હતા.અપહરણ કરી લઈ ગયા બાદ તેમને એક ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા અને બંનેને સામસામે બેસાડી તીખા મરચા ખવડાવ્યા હતા. ત્યારબાદ બંનેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાંથી કૈલાશનાથને કારમાં બેસાડી વાપી નજીક રસ્તા પર મુક્ત કરી દેવામાં આવ્યો હતો જ્યારે રાજુનાથનું મોત થતા તેનું મૃતદેહ હાલોલ નજીક ફેંકી દીધો હતો.

