મોરબી તાલુકાના સ્પેનસેરા સીરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી ત્રણ વર્ષનો બાળક એક પરિચિત વ્યક્તિ સાથે રમકડા લેવા ગયા બાદ પરત ન ફરતા અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ મોરબી તાલુકા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાળક તથા સંતોષભાઈ નવલાભાઈ મધ્યપ્રદેશ તરફ જતી બસમાં ગયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસની એક ટીમ મધ્યપ્રદેશમાં મોકલવામાં આવી હતી અને મોબાઈલ લોકેશનના આધારે સતત તપાસ ચાલુ રાખવામાં આવી હતી.
દરમિયાન સંતોષભાઈ પોતાના ઘરે પહોંચ્યા બાદ મોબાઈલ ફોન ચાલુ થતાં પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો. સંતોષભાઈએ બાળક અંતાક્ષ પોતાની સાથે સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. પોલીસે તા.23 ઓગસ્ટે બાળકને હસ્તગત કરી તેના વાલીવારસને સોંપ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, સંતોષભાઈ અને બાળકના પિતા એકબીજાના પરિચિત તથા સંબંધી હોવાથી બાળકને તેમની સાથે મોકલવામાં આવ્યો હતો. સંતોષભાઈએ બાળકને મધ્યપ્રદેશ પોતાના ઘરે લઈ જવાની વાત પિતાને કરી હતી, પરંતુ આ અંગે માતાને જાણ ન થતાં તેમજ બાળક પાસે રહેલો મોબાઈલ બંધ થઈ જવાથી લાંબા સમય સુધી સંપર્ક ન થતા ગેરસમજ ઊભી થઈ હતી અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. મોરબી તાલુકા પોલીસ, એલસીબી તથા સર્વેલન્સ ટીમની કામગીરીથી બાળકને ટૂંકા સમયગાળામાં સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો હતો.

