ત્વરિત પગલાં સાથે ૨૨૩ ફરિયાદો સામે ૨૧૭ ફરિયાદોનું કરાયું નિવારણ : ટોલ ફ્રી નંબર ઉપર ૨૬ ફરિયાદો નોંધાઈ
રાજકોટ ૨૫ નવેમ્બર,રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે દરેક પાસાઓ ઉપર પુરી સજ્જતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલ અને સી-વિજિલ એપ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
ફરિયાદ નિવારણ સેલમાં સી,વિજીલ એપના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ ૨૨૩ જેટલી ફરિયાદો આવી છે. જેમાંથી કુલ ૬ ફરિયાદો ખોટી હોવાથી ડ્રોપ કરીને કુલ ૨૧૭ ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે. આઠ વિધાનસભાની બેઠકોમાંથી રાજકોટ પૂર્વ માંથી કુલ ૬૩, રાજકોટ પશ્ચિમ મતવિસ્તારમાંથી કુલ ૧૯, રાજકોટ દક્ષિણ મતવિસ્તારમાંથી ૨૬, રાજકોટ ગ્રામ્યમાંથી ૬૩, જસદણ વિસ્તારમાંથી ૦૨, ગોંડલ મતક્ષેત્રમાંથી ૨૩, જેતપુર ક્ષેત્રમાંથી ૧૧ તેમજ ધોરાજી વિસ્તારમાંથી કુલ ૧૦ ફરિયાદો નોંધાઈ હતી. આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ચૂંટણી પ્રક્રિયા માટે ખાસ શરૂ કરવામા આવેલા ૧૮૦૦ ૨૩૩૦ ૩૨૨ ટોલફ્રી નંબર પર અત્યાર સુધીમાં આવેલી કુલ ૨૬ ફરિયાદોનું સત્વરે નિવારણ કરી આપવામાં આવ્યું છે. આમ ન્યાયી અને મુક્ત વાતાવરણ સાથે વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨માં ચૂંટણી સંબંધિત એપ્લિકેશનનો મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

