જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં મંગળવારે નવી ખુલેલી દારૂની દુકાન પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઓછામાં ઓછા ત્રણ ઘાયલ થયા હતા. બારામુલ્લા શહેરના દિવાન બાગ વિસ્તારમાં તાજેતરમાં જ એક દારૂની દુકાન ખોલવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ કોર્ટ રોડ પર સ્થિત દારૂની દુકાન પર રાત્રે લગભગ 8:30 વાગ્યે ગ્રેનેડ ફેંક્યો હતો. હુમલો કર્યા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

આતંકી હુમલામાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લાના રહેવાસી રણજીત સિંહ (52 વર્ષ) તરીકે થઈ છે. ઘાયલોમાં કઠુઆના રહેવાસી ગોવર્દન સિંહ (35 વર્ષ), રાજૌરીના રહેવાસી ગોવિંદ સિંહ (35 વર્ષ) અને રવિ કુમાર (36 વર્ષ)નો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં એકનું મોત થયું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચારેય શખ્સો દુકાનમાં કામ કરતા હતા અને જમ્મુ વિભાગના રહેવાસી હતા.

