સાયલા દારૂકાંડ મુદ્દે આમ આદમી પાર્ટીના ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતાં. ગુજરાતમાં માત્ર 0.1 ટકા જ દારૂ પકડાય છે. તો દારૂબંધીની કડક અમલવારી કરાવવામાં સરકાર સદતંર નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું છે. પોલીસ ઉપર પણ પ્રહાર કરતા પણ કહ્યું હતું કે, કોઈપણ પોલીસ અધિકારી હોય ગુજરાતનું કોઈપણ સ્થળ પોલીસ દારૂ સરળતાથી ત્યાં પહોંચાડી શકે છે. સમગ્ર રાજ્યમાં સલામત ડિલિવરી થાય છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કરેલા આક્ષેપ મુજબ, થોડાને સસ્પેન્ડ કરી ભાજપ પોતાની આબરૂ બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. ગુજરાત અને કેન્દ્રમાં એક જ પક્ષની સરકાર છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો જાણે ભાજપે ભ્રષ્ટાચાર કરવાનું માધ્યમ બનાવ્યું હોય એ રીતે ન તો દારૂબંધી ખુલ્લી કરે છે અને ન તો દારૂ ઘટવા દે છે. આમ કરી સરકારને ટેક્સની મોટી આવકમાં નુકસાની પહોંચે છે. અગાઉ પણ વિધાનસભાના ફ્લોર પર મેં આ વાત જણાવી હતી કે પોલીસમાં શું ચાલી રહ્યું છે. છતાં પણ એમાં કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી

દારૂ પીનારો પાયમાલ થતો હોય છે પણ તેને વેચનાર પણ થતો હોય છે. કેમ કે એ પોલીસના હપ્તામાંથી જ બહાર આવી શકતો નથી. ખરા અર્થમાં દારૂબંધીની અમલવારી માટે સરકાર સંપૂર્ણ નિષ્ક્રિય છે. આથી ભાજપ આ ધંધો બંધ કરવા ન માગતી હોય તે સ્પષ્ટ થાય છે. એક કટ્ટર રાષ્ટ્રવાદ પક્ષના એક ઈમાનદાર કાર્યકર તરીકે મારુ લોહી ઉકળી જાય છે ત્યારે આ સરકારનો હિસાબ માગવાનો અધિકાર અને દંડ દેવાનો અધિકાર માત્ર લોકોનો જ હોય છે. લોકો જાગૃત થાય અને ગુજરાતને ખંડણી, ભ્રષ્ટાચાર, જોહુકમી જેવા વાતાવરણમાંથી ખરા અર્થમાં એક વિકસિત રાજ્ય જ્યાં કાયદાનો કડક અમલ થતો હોય તેના માટે ગુજરાતના આમ આદમીએ જાગવું પડશે અને આવી નબળી સ્થિતિ ઉપર અમે લગામ કરવા માગીએ છીએ.

