આજે ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંઘ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, નિલેષ જેતપરીયા, પરેશભાઈ કુંડારીયા અને ગૌતમભાઈ કાંજીયા સહિતના હોદ્દેદારોની હાજરીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
મોરબીને વિશ્વના અગ્રણી સિરામિક ટાઇલ્સ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંનો ઉદ્યોગ દેશના કુલ સિરામિક ટાઇલ્સ અને સેનિટરીવેર ઉત્પાદનમાં આશરે 90 ટકા યોગદાન આપે છે. ઉદ્યોગનો વાર્ષિક ટર્નઓવર અંદાજે 75 હજાર કરોડ રૂપિયા જેટલો છે અને તે સીધા તથા અપ્રત્યક્ષ રીતે ચાર લાખથી વધુ લોકોને રોજગાર પૂરો પાડે છે. છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ, ખાસ કરીને મિડલ ઈસ્ટમાં સર્જાયેલી અશાંતિ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં થયેલી અસરને કારણે પ્રોપેન અને નેચરલ ગેસની અછત તેમજ વધેલા ભાવના કારણે મોરબીના 400થી વધુ સિરામિક કારખાનાઓને ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું. આ પરિસ્થિતિએ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને હજારો મજૂરો પણ અસરગ્રસ્ત બન્યા હતા.
આ બેઠક દરમિયાન સિરામિક ઉદ્યોગને ફરીથી ગતિમાં લાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની અનિશ્ચિતતા હોવા છતાં ઉદ્યોગોને પરવડે તેવા દરે ગેસ સપ્લાય પૂરો પાડવા બાબતે સહમતિ નોંધાઈ હતી. આ પગલાંથી સિરામિક એકમોને ફરી શરૂ કરવામાં સહાય મળશે અને રોજગારીમાં પણ સ્થિરતા આવશે. મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ આ બેઠક અને ઉદ્યોગહિતમાં લેવામાં આવેલા સકારાત્મક નિર્ણય માટે ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંઘ તેમજ તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

