રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. થોડા દિવસ પહેલા પ્રદેશ સંગઠનનું માળખુ તૈયાર કર્યું છે. જેમાં રાજ્યના 19 શહેર અને જિલ્લા પ્રમુખોને બદલાવી નવા ચહેરાની જાહેરાત કરી છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં પાટીદારને પ્રમુખ પદ ઉપર પાટીદારોને સ્થાન નહીં અપાતા રોષ ફેલાયો છે. તેમજ એક્ટિવ આગેવાનોની બાદબાકી કરાતા આંતરિક વિખવાદ પણ જોવા મળ્યો છે.

થોડા દિવસ પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના 19 શહેર અને જિલ્લા પ્રમુખ બદલાવી નવા ચહેરાઓની જાહેરાત કરી છે. જેમાં રાજકોટ શહેર પ્રમુખ તરીકે પ્રદિપ ત્રિવેદી અને જિલ્લામાં જિલ્લા પંચાયતમાં સતત ચાર ટર્મથી ચૂંટાઈ રહેલા અને હાલ વિપક્ષી નેતા અર્જૂન ખાટરિયાની નિયુક્તિ કરાઈ છે. શહેર અને જિલ્લામાં પાટીદારોને પ્રમુખ પદ નહીં સોંપાતા પાટીદારોમાં રોષની લાગણી છવાઈ છે. ગઈકાલે પાટીદાર સમાજના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરોની મહત્વની બેઠક મળી હતી.

જેમાં શહેર અને જિલ્લા કક્ષાએ સમાજને હોદ્દાઓમાં પૂરતુ પ્રતિનિધિત્વ નહીં મળવાની લાગણી છલકાઈ હતી. ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસ અગ્રણી મિતુલ દોંગાએ નિવેદન આપતા કહ્યું હતું કે, પાટીદાર સંગઠનને કોંગ્રેસમાં પદ મળવું જોઈએ. જો અમારી માગ પુરી નહીં થાય તો અમે બહિષ્કાર કરીશું. શા માટે પાટીદાર સંગઠનને કોંગ્રેસમાં પદ મળતું નથી. રાજકોટ શહેર પ્રમુખ પદ માટે અનેક દાવેદારો હતાં છતા પણ તેની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

