પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપે વિજય વાવટા ફરકાવ્યા બાદ ગુજરાતમાં પણ ભાજપે દરેક જિલ્લામાં મોટું સેલિબ્રેશન કર્યું છે. પક્ષના પદાધિકારીઓ ભાજપની આ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. દરેક જિલ્લામાં સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ભાજપે ફટાકડા ફોડીને આ વિજયોત્સવને મનાવ્યો હતો.
આ વિજયોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગત માસે પાંચ રાજ્યમાં જે વિઘાનસભાની ચૂંટણી થઈ, આજે પાંચે પાંચ રાજ્યના પરિણામ આવ્યું છે ત્યારે દેશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના નેતૃત્વ તેમજ કાર્યકર્તાઓની અથાગ પરિશ્રમને કારણે જે પરિણામ સામે આવ્યા છે એમાં ચાર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ જયજયકાર કર્યો. બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. ચારેચાર રાજ્યમાં ફરીથી વિજય મેળવ્યો છે. ભાજપ મોદીના નેતૃત્વમાં લોકો સાથે કામ કરનારી પાર્ટી છેય પાર્ટી અને સરકાર બંને સાથએ રહી જે રીતે લોકઉપયોગી જેટલી યોજના હતી એ લોકો સુધી પહોંચાડવામાં સક્ષમ રીતે પાસ થઈ એ આ પરિણામ બતાવે છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આજે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબ આ પાંચ રાજ્યાના પરિણામ આપણી સામે છે. ચારેય રાજ્ય પર ભાજપનો ભગવો લહેરાયો છે. વડાપ્રધાન મોદીની સામાન્ય લોકો માટેની અનેક યોજનાઓ મોદી અને યોગીની જોડીએ યોજનાને જમીન પર ઉતારવા સરકારના પ્રયત્નો, કાર્યકર્તાઓની મહેનત ફરીથી વડાપ્રધાન મોદી પર વિશ્વાસ મૂકી ભાજપને વિજય અપાવ્યો છે. જે માટે હું વડાપ્રધાન મોદીને ખૂબ ખબૂ અભિનંદ આપું છું. યોગીજી અને બાકીના મુખ્યમંત્રીને પણ ખૂબ જ શુભેચ્છા પાઠવું છું. આ ચૂંટણીમાં ભાગલાવાદી પરિબળ ઘરભેગા થયા છે. ફરીથી તમામને અભિનંદન આપું છે. આ ચૂંટણીમાં અનેક કાર્યકર્તાઓએ ગુજરાતમાંથી જઈને જુદા જુદા રાજ્યના કાર્યકર્તાઓ સાથે જોડાઈને કામ કર્યું છે. એના માટે પણ અભિનંદન આપું છું. ગુજરાતના કાર્યકર્તાઓ પણ ભાગીદાર છે.

ઉતરાખંડમાં ફરી ભાજપ સરકાર સત્તા પર આવી શકે છે. શરૂઆતમાં કોંગ્રેસે જોર બતાવ્યા બાદ હવે કેસરિયો લહેરાતા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉતરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથની સરકાર ફરી એકવખત સત્તા પર આવે તેવા સંકેત છે. બીજી તરફ પંજાબમાં પ્રથમ વખત રેકર્ડ્રબ્રેક બહુમતીથી આમ આદમી પાર્ટી જીતી છે. ભગવતસિંઘ માનને મુખ્યમંત્રી પદનો ચહેરો માનવામાં આવી રહ્યો છે. જોવાનું એ છે કે, પક્ષ બીજા ક્યા સાથીઓને પસંદ કરી નેતૃત્વ સોંપે છે. જ્યારે ગોવામાં જબરદસ્ત ટક્કરની સ્થિતિ જોવા મળી છે. ભાજપ તથા કોંગ્રેસ એકબીજાને એક-એક બેઠકની લડાઈ આપી રહ્યા છે. તે વચ્ચે સ્થાનિક પક્ષોનું મહત્વ વધી જશે તે નિશ્ચિત છે.
ઉતરપ્રદેશ પછી બીજા નંબરે સૌથી મહત્ત્વના મનાતા રાજ્ય એવા પંજાબમાં આમ આદમી પાર્ટીએ ઈતિહાસ બનાવ્યો છે. પંજાબમાં 117 બેઠકોની વિધાનસભા બેઠકોમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ દિલ્હી સ્ટાઇલથી ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટી શરૂઆતથી જ આગળ રહી છે. કુલ 90 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ રહ્યા છે. ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 20 બેઠકો મળી હતી. આજની સરસાઇ સાથે આમ આદમી પાર્ટીની છાવણીમાં જબરદસ્ત માહોલ છવાઇ ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તથા નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા બંને અમૃતસર પહોંચી રહ્યા છે.

