દેશની સૌથી મોટી બેંક- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBIની નવી ગાઈડલાઈનને લઈને હોબાળો થયો છે. હકીકતમાં, બેંકે ત્રણ મહિનાની ગર્ભવતી સ્ટાફને તેની ઓફિસ આવવાની ના પાડી દીધઈ છે. બેંકની નવી ગાઈડલાઈન્સ અનુસાર આવી મહિલાઓ ઓફિસમાં કામ કરવા માટે અસ્થાયી રૂપે અયોગ્ય છે. SBIના આ નવા આદેશ પર દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે નારાજગી વ્યક્ત કરી છે. આથી તેણે બેંકને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.
સ્વાતિ માલીવાલે સ્ટેટ બેંકની આ ગાઈડલાઈનને ભેદભાવપૂર્ણ ગેરકાયદેસર ગણાવી છે. ટ્વિટર પર નોટિસની કોપી શેર કરતા લખ્યું છે કે, ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 3 મહિનાથી વધુ ઉંમરની ગર્ભવતીને સેવામાં જોડાવાથી રોકવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે અને ‘અસ્થાયી રૂપે અયોગ્ય’ જાહેર કરી છે. આ બંને ભેદભાવપૂર્ણ અને ગેરકાયદેસર પગલું છે. અમે તેમને નોટિસ ફટકારીને આ મહિલા વિરોધી નિયમ પાછો ખેંચવાની માગણી કરી છે. માલીવાલે કરેલી ટ્વીટમાં દિલ્હી મહિલા આયોગે જણાવ્યું હતું કે SBI, તા.31 ડિસેમ્બરના રોજ એક પરિપત્રમાં, યોગ્ય પ્રક્રિયાથી પસંદ કરવામાં આવી હોવા છતાં ત્રણ મહિનાથી વધુની ગર્ભવતી મહિલાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, ‘આ ખૂબ જ ગંભીર મામલો છે. આ પગલું બેંકનું ભેદભાવપૂર્ણ અને ગેરકાયદેસર હોવાનું જણાય છે કારણ કે તે સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ પ્રદાન કરવામાં આવેલા માતૃત્વના લાભની વિરોધમાં છે. DCWએ કહ્યું, “પરિપત્રમાં જણાવાયું છે કે તેને અસ્થાયી રૂપે અયોગ્ય ગણવામાં આવશે. બાળકના જન્મ પછી ચાર મહિનાની અંદર તેને જોડાવાની મંજૂરી આપવામાં આવી શકે છે.” DCWએ SBIને આ ગાઈડલાઈન્સને તૈયાર કરવા પાછળની પ્રક્રિયા અને તેને મંજૂર કરનારા અધિકારીના નામ આપવા માટે કહ્યું છે.

અગાઉ, છ મહિનાની ગર્ભવતી મહિલા ઉમેદવારોને અમુક શરતો હેઠળ SBIમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં વુમન સ્પેશ્યાલિસ્ટ પાસેથી પ્રમાણપત્ર લેવાનો સમાવેશ થતો હતો કે તેના સ્વાસ્થ્યને અસર થશે નહીં.

