જામનગરની ફિઝિયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના સામે આવ્યાં બાદ રેગિંગ કમિટીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં હોસ્ટેલના 15 જૂનિયર વિદ્યાર્થીઓને હેરાન કરીને રેગિંગ કર્યાનું સામે આવ્યું છે. જે રિપોર્ટના આધારે કોલેજના પ્રિન્સીપાલે 15 વિદ્યાર્થીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. જેમાં 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસપેન્ડ કરી દેવાયા છે. તો બીજી તરફ અન્ય 6 છાત્રોને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવાની મનાઈ કરાઈ છે. તો ત્રણ વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં સજા કરવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે.

જામનગરમાં આવેલી સરકારી ફિઝિયોથેરેપી કોલેજમાં સોમવારે બીજા વર્ષમાં ભણતા 28 વિદ્યાર્થીઓએ રેગિંગ કરતા હોવાની ફરિયાદ પ્રિન્સીપાલને આપી હતી. આ ફરિયાદના આધારે પ્રિન્સીપાલે આ સમગ્ર કેસની તપાસ રેગિંગ કમિટીને સોંપી દેવામાં આવી હતી. જેમાં ત્રણ સભ્યોની એન્ટી રેગિંગ કમિટીએ પીડીતો અઅને આક્ષેપિત છાત્રો મળી કુલ 45ના નિવેદનો નોંધ્યા હતાં. તપાસ કમિટીએ બે દિવસ સુધી તપાસ કરીને ગત સાંજે રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં રેગિંગ થયા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. તપાસ સમિતિના રિપોર્ટની ભલામણ પ્રમાણે કોલેજના પ્રિન્સીપાલ સોરાણીએ રેગિંગમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને સજા ફરમાવી હતી.

સરકારી કોલેજના પ્રિન્સીપાલ સોરાણીએ 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસપેન્ડ કરી દીધા છે. તો બીજા 6 છાત્રોને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવા ઉપર મનાઈ ફરમાવી છે. 14 વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા યોજાતા કાર્યક્રમો તથા સ્થાનિક કે સ્પર્ધાત્મક કે નેશનલ લેવલની કોન્ફરન્સમાં ભાગ લેવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ 15 વિદ્યાર્થીઓની વર્તુણક બાબતે સમિતિએ રીઝલ્ટ સ્થગિત કર્યાં છે.

