રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ ઓમિક્રોન વાયરસના સંક્રમણની પણ દહેશત ફેલાઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 8 મહાનગરપાલિકાઓમાં લાદવામાં આવેલા નાઈટ કર્ફ્યુના સમયમાં ફેરફાર કર્યો છે. હવે રાત્રીના 11થી 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારાના કારણે રાજ્ય સરકારની ચિંતમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા 25 ડિસેમ્બરના રોજથી રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કર્યો છે. જે પ્રમાણે હવે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં તા. 31 ડિસેમ્બર સુધી રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે તા. 20ના રોજ રાત્રી કર્ફ્યુનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 1થી સવારના 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. જો કે કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાના પહલે સરકારે 4 નવુ નોટીફિકેશન જાહેર કરવું પડ્યું છે.

