અમદાવાદ,શુક્રવાર
છોટાઉદેપુરના વાગલવાડાની સ્કૂલનું બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ ખુલ્લામાં ભણી રહેલા વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ આપેલા ‘અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણતા’ નિવેદનને હાઇકોર્ટે શરમજનક ગણાવ્યું છે ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્થિતિની ગુજરાત હાઈકોર્ટે સૌથી મહત્ત્વપૂર્ણ અને ગંભીર નોંધ લીધી છે. રાજ્ય સરકારને નોટિસ પાઠવી શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરીથી ઉપરની કક્ષાના અધિકારીને કોર્ટ સમક્ષ પ્રત્યક્ષ હાજર રહી રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે.
હાઇકોર્ટે બાળકોના ભણતરની સમસ્યાનો મુદ્દો ગંભીર હોવાનું અવલોકન કર્યું છે કે શિયાળાની ઠંડીમાં સ્કૂલની તૂટેલી ઇમારતને કારણે બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બને એ ચલાવી લેવાય નહિ, કારણ કે ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઠંડીથી બચવા માટે પૂરતાં કપડાં પણ નથી. કોર્ટે નોંધ્યું છે કે 2020માં વરસાદને કારણે સ્કૂલનું બાંધકામ તૂટી ગયું હતું. આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં, જેની સામે કોર્ટે ગંભીર નોંધ લેતાં રાજ્ય સરકાર અને કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
16 ડિસેમ્બરના રોજ વડોદરામાં નેચરલ ફાર્મિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યૂઅલ સંબોધનમાં હાજરી આપવા આવેલા શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને પત્રકારોએ પૂછ્યું કે છોટાઉદેપુર વાગલવાડા ગામની સ્કૂલનું બિલ્ડિંગ ચોમાસામાં ધરાશાયી થઈ ગયા બાદ હજુ બની નથી, જેથી વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં ભણવા માટે મજબૂર છે. જેના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, જ્યાં જ્યાં શાળાના ઓરડાઓની માંગણી થઈ છે, ત્યાં કાર્યવાહીઓ થઈ રહી છે, કેટલીકવાર શિયાળામાં ખુલ્લામાં બેસાડવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકારે બેસવાની વ્યવસ્થા અને જ્યાં ઓરડા નથી ત્યાં એ ગામોમાં પણ વ્યવસ્થા કરી છે. શિયાળામાં હું પણ ભણતો હતો, ત્યારે ખુલ્લામાં વિદ્યાર્થી તરીકે બેસાડતા હોય છે, એને અલગ રીતે લેવાની આવશ્યકતા નથી.

