નવી દિલ્હી, શુક્રવાર
આતંકવાદને લઈને એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરાયો છેકે ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા 66 ઓળખાયેલા આતંકીઓ ભારતીય મૂળના હતા. આ રિપોર્ટમાં આતંકવાદ સામેની લડાઈમાં ભારતની પ્રશંસા કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર સુધીમાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા 66 ભારતીય મૂળના આતંકીઓ હતા. જણાવવામાં આવ્યું છે કે 2020 દરમિયાન કોઈપણ વિદેશી આતંકીને ભારત લાવવામાં આવ્યો નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત આતંકવાદના 34 મામલાની તપાસ કરી અને સપ્ટેમ્બરમાં કેરળ તથા પશ્ચિમ બંગાળમાંથી અલકાયદાના કથિત ઓપરેટિવ સહીત 160 લોકોની ધરપકડ કરી છે. એનઆઈએ દ્વારા કરવામાં આવેલી ધરપકડને લઈને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તપાસ એજન્સીએ 19 અને 26 સપ્ટેમ્બરે કેરળ અને પશ્ચિમ બંગાળમાંથી અલકાયદા સાથે જોડાયેલા 10 કથિત ઓપરેટિવની ધરપકડ કરી હતી.
સપ્ટેમ્બરના આખર સુધીમાં એનઆઈએએ 34 આતંકવાદ સાથે જોડાયેલા મામલાઓની તપાસ કરી હતી, જે ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત હતા અને તેમા 160ની ધરપકડ કરવામાં આવી હતી. કોલકત્તા પોલીસ કાઉન્ટર ટેરરિઝ્મ સ્પેશયલ ટાસ્ક ફોર્સે 29 મેના રોજ જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશના બીજા કમાન્ડર આતંકી અબ્દુલ કરીમને બોધગયામાં 2013માં થયેલા બોમ્બ વિસ્ફોટમાં સામેલ હોવાને કારણે એરેસ્ટ કર્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત આતંકવાદની તપાસ સાથે સંબંધિત જાણકારીઓ માટે અમેરિકાની અપીલ પર જવાબ આપે છે. ગત બે વર્ષોમાં બંને દેશોની કોશિશોથી ઘણાં આતંકી ખતરાઓને ટાળી શકાયા છે. જણાવવામાં આવ્યું છે કે ભારતીય અધિકારી આતંકી ભરતી, હિંસા, ધાર્મિક તણાવ અને કટ્ટરપંથને લઈને ઈન્ટરનેટના ઉપયોગને લઈને ચિંતિત છે.

