હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમ વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલની જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના બનાવમાં અજાણ્યા વ્યક્તિ સામે પોલીસમાં ગુનો નોંધાયો છે. પ્રાથમિક માહિતી મુજબ કેનાલના સાયફન ભાગમાં કોઈ અજાણ્યા શખ્સે બાકોરું પાડી આશરે રૂ. 20 હજાર જેટલું નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.
આ મામલે નર્મદા નિગમમાં ફરજ બજાવતા દિલીપકુમાર કરમશીભાઈ ચાવડાએ હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 324(3), 324(4) તેમજ જાહેર સંપત્તિ નુકસાન નિવારણ અધિનિયમ-1984ની કલમ 3(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદ અનુસાર 18 જૂન, 2026ની રાત્રે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના જુના દેવળીયા ગામની સીમમાંથી પસાર થતા સાયફનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં નર્મદા નિગમના અધિકારીઓએ તપાસ કરી અને ત્યારબાદ 23 જૂને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ આરોપીની ઓળખ થઈ નથી અને હળવદ પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

