HomeGujaratકોરોનાકાળમાં 2 વર્ષથી સ્કુલે ન જઈ શકનારા છાત્રો માટે 'કેરિયરનામા પ્રોજેક્ટ' :...

કોરોનાકાળમાં 2 વર્ષથી સ્કુલે ન જઈ શકનારા છાત્રો માટે ‘કેરિયરનામા પ્રોજેક્ટ’ : સ્કિલ ડેવલપમેન્ટની વિશેષ તાલીમ અપાશે

જામનગર, બુધવાર

  ડિસ્ટ્રિક્ટ સ્કિલ કમિટી-જામનગર અને ક્વેસ્ટ એલાયન્સના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને કરીયર પસંદ કરવા માટે કેરિયરનામા પ્રોજેક્ટનો શુભારંભ કલેક્ટર ડો.સૌરભ પારઘી, એમ.એમ.બોચીયા (આચાર્ય, આઈ.ટી.આઈ. જામનગર) તથા જિલ્લા શિક્ષણાધિકારી ડોડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે કલેક્ટર ડો. પારઘીએ જણાવ્યું હતું કે, કેરિયરનામા વિદ્યાર્થીઓને તેમના પસંદગી મુજબનો રોજગાર અપાવવામાં મદદરૂપ બનશે. પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીની ઓળખ કરી તેના કૌશલ્ય મુજબ ઉપલબ્ધ કારકિર્દીના વિકલ્પો વિશે વધુ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ જે-તે ક્ષેત્રમાં રોજગાર માટેની કેટલી તકો ઉપલબ્ધ છે તે વિશે વિદ્યાર્થીને માહિતગાર કરવામાં આવશે. આ માટે માસ્ટર ટ્રેનર તેમજ કરીયર કાઉન્સેલર તરીકે જિલ્લાના પસંદગી પામેલા શિક્ષકો ફરજ બજાવશે જે માટે 10 શિક્ષકોની તાલીમ શરૂ કરી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલી ઈચ્છા અને કૌશલ્યનું સંતુલન સાધીને શ્રેષ્ઠ કારકિર્દી પસંદ કરી શકશે.

  આત્મવિશ્વાસ દ્વારા અભિવ્યક્તિ, ભાષાકિય ઉચ્ચારણ સુધારવાની તાલીમ, વિદ્યાર્થીઓનો કારકિર્દી પ્રત્યેનો રસ, તેની ક્ષમતા અને આકાંક્ષા પારખીને લક્ષ્ય સાધવા અંગેની તાલીમ આપવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓની ક્ષમતા કેળવવા માટે શિક્ષકોને પણ તાલીમબધ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને વિવિધ ઈન્ડસ્ટ્રિઝની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવશે. જેનો મહત્તમ લાભ આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થીઓને પણ મળશે.આ તકે આઈ.ટી.આઈ.ના આચાર્ય એમ.એમ.બોચીયાએ જણાવ્યું હતું કે, કેરિયરનામા દ્વારા વિદ્યાર્થીએ પસંદ કરેલી કારકિર્દી થકી સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે અને ઈન્ડસ્ટ્રિઝની જરૂરિયાત મુજબ તેનામાં સ્કિલ ડેવલપ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. વ્યક્તિગત રીતે તથા ગ્રુપમાં વિદ્યાર્થીઓને તેમના કેરિયર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. એમઓયુ થયેલ ક્વેસ્ટ એલાયન્સ ડિજીટલ પ્લેટફોર્મ આધારીત છે.

   આ કોર્ષ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે કોમ્પ્યુટર પ્રોગ્રામ આધારીત તથા મોબાઈલ એપ્લીકેશન આધારીત એમ બંને રીતે ઉપયોગ કરી શકાશે. આ પ્રોજેક્ટમાં ઓડિયો-વિઝયુલ માધ્યમ દ્વારા તાલીમ આપવામાં આવશે. કોરોના મહામારીના કારણે બે વર્ષથી સ્કુલે ન જઈ શકનાર વિદ્યાર્થીઓ માટે કેરિયરનામા પ્રોજેક્ટ ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ પ્રોજેક્ટ હેઠળ ઉચ્ચ માધ્યમિક શાળાના 1,000 વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટની વિશેષ તાલીમ આપવામાં આવશે.

   પ્રારંભિક તબક્કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર જિલ્લાની 10 શાળાઓમાં આ પ્રોજેક્ટ અમલીકૃત કરવામાં આવશે. જેમાં દયાનંદ કન્યા વિદ્યાલય, ડી.સી.સી.વી. હાઈસ્કુલ, જી.એમ.પટેલ સ્કુલ, એલ.જી.હરીયા હાઈસ્કુલ, મ્યુનિસિપલ હાઈસ્કુલ, નેશનલ હાઈસ્કુલ, શ્રી સજુબા કન્યા હાઈસ્કુલ, સત્યાસાંઈ હાઈસ્કુલ, સેન્ટ ફ્રાન્સીસ હાઈસ્કુલ, સેન્ટ ઝેવીયર્સ હાઈસ્કુલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી 5 ગર્લ્સ હાઇસ્કુલનો પણ સમાવેશ કરાયો છે જ્યાં વોકેશનલ ટ્રેઈનિંગ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે દરેક માધ્યમિક શાળામાં તાલીમબધ્ધ શિક્ષકો હશે. જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક માસિક પ્રવૃતિઓ, યોગ્યતા પરીક્ષા અને કારકિર્દી સંબંધિત સેમિનાર તથા વર્કશોપ દ્વારા વિદ્યાર્થીમાં સ્વ-સમજણ કેળવીને કરિયર રીસર્ચ અને કરિયર પ્લાનિંગમાં મદદ કરશે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોર દ્વારા સંચાલીત મહાત્મા ગાંધી નેશનલ ફેલોશીપ યોજનાના ફેલો જ્હાનવીબેન રાજાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, ડે.જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયા, ડી.આઈ.સી. અધિકારી વૈશાલી ખીમશુરીયા, લેબર અધિકારી ધ્વનીબેન રામી, હેલ્થ અને સેફટી અધિકારી પ્રજાપતી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW