સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની આગામી છ મહિનામાં બાળકો માટે કોવિડ-19ની રસી લાવવાની યોજના છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી CEO અદાર પૂનાવાલા એ મંગળવારે આ ચોખવટ કરી આપી છે. પૂનાવાલાએ એક ઉદ્યોગ સંમેલનમાં ભાગ લેતા કહ્યુ કે, ‘કોવોવૈક્સ’ રસીની ટ્રાયલ ચાલી રહી છે અને આ ત્રણ વર્ષ કરતા વધુ ઉંમરના બાળકોને દરેક પ્રકારે સુરક્ષા પ્રદાન કરશે. ટ્રાયલમાં સારા પરિણામ જોવા મળ્યા છે.
રસી કામ કરશે અને બાળકોને સંક્રામક રોગથી પણ બચાવશે. વર્તમાનમાં કોવિશીલ્ડ અને કોવિડની અન્ય રસીને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી મળેલી છે. અમે બાળકોમાં વધુ ગંભીર રોગ જોયો નથી. સૌભાગ્યથી બાળકો માટે આ ડર નથી. પરંતુ અમે બાળકો માટે છ મહિનામાં રસી લઈને આવીશું. આશા છે કે તે ત્રણ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકો માટે હશે. જો તમને લાગે છે કે તમારા પોતાના બાળકનું રસીકરણ કરવું જોઈએ તો તે માટે સરકારની જાહેરાતની રાહ જુઓ. પૂનાવાલાએ કહ્યુ કે, કોવિડના ઓમિક્રોન સ્વરૂપ વિશે હજુ સુધી કંઈ કહી શકાય નહીં કે તે બાળકોને કઈ રીતે પ્રભાવિત કરશે.

