વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં કામ કરતા એક શ્રમિકે આર્થિક તંગીને કારણે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, ઢુવા નજીક આવેલી અમરનાથ સિરામિક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા અને ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના કૌસંબી જિલ્લાના રહેવાસી રામલોચન સુબેદારભાઈ રાજપૂત (ઉ.વ. 32)એ ગઈકાલે સવારે ટ્રેન નીચે પડી જીવન ટૂંકાવ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે પોતાના વતનમાં પરિવારને રૂપિયા મોકલી શકતો નહોતો. આ વાતને લઈને તે છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતો. સતત ચિંતાથી કંટાળી જઈ તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

