વાંકાનેર તાલુકાના ખખાણા ગામમાં રહેતી હેતલબેન અનિલભાઈ થોરીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, ગામના સુરેશભાઈ ગોવિંદભાઈ ગોધાણી, સંજયભાઈ સંગ્રામભાઈ ગોધાણી, કરણભાઈ સંગ્રામભાઈ ગોધાણી અને રવિભાઈ સંગ્રામભાઈ ગોધાણી સામે ગુનો નોંધાયો છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આશરે સાતથી આઠ દિવસ અગાઉ રસ્તા પર કીચડ ઉડવાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતનો મનદુઃખ રાખીને આરોપીઓ ફરીયાદીના પિયરના ઘર પાસે પહોંચ્યા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી.
ત્યારબાદ આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડીઓ (પોકા) વડે હુમલો કરી હેતલબેનને માથાના ભાગે તેમજ તેમની સાથે રહેલી રતનબેનને પગના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સ્કુટી અને મોટરસાયકલને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

