ટંકારાની શ્રી સજનપર પ્રાથમિક શાળા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ “સંસ્કૃતિ- એક ભવ્ય વારસો” થીમ હેઠળ ભવ્ય અને યાદગાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને દેશપ્રેમને ઉજાગર કરતી અનેક મનમોહક રજૂઆતો કરી હતી.
તેમજ વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસા પાઠ, ગરબા, રાજસ્થાની લોકનૃત્ય, વંદે માતરમ ગાયન, લેઝીમ નૃત્ય, દ્વારિકાના નાથ રાસ, ગણેશ અને માતા સરસ્વતીની વંદના, માતૃ વંદના, બાળગીતો તેમજ હાસ્યસભર કોમિક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકો દ્વારા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં દેશભક્તિ વિષયક ભાષણો રજૂ કરાતા સમગ્ર કાર્યક્રમ વધુ આકર્ષક બન્યો હતો. બાળકોની આ ઉત્તમ કૃતિઓથી ગામજનતા અને ઉપસ્થિત મહેમાનો અત્યંત પ્રભાવિત થયા હતા.
આ અવસરે શાળાના દાતાઓ તેમજ આ જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જ્યંતિભાઈ રાજકોટીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ટંકારા તાલુકા ભાજપ મંત્રી નિકુલભાઈ જાની, જિલ્લા ટીચર્સ કો-ઓર્ડિનેટર પ્રવીણભાઈ ભોરાણીયા, તાલુકા પ્રાથમિક શિક્ષક જોડિયા દિનેશભાઈ ગરચર, જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી તથા મહામંત્રી મુકેશભાઈ મારવાણીયા, જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વરિષ્ઠ અધ્યક્ષ સંદીપભાઈ આદ્રોજા, મોરબી તાલુકાના કેળવણી નિરીક્ષક નિલેશભાઈ કૈલા, ટંકારા તાલુકા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ રસિકભાઈ ભાગ્યા, લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગના માઈક્રો કેબિનેટ મેમ્બર તુષારભાઈ દફતરી તેમજ મોરબી પી.જી. પટેલ કોલેજના પ્રિન્સિપાલ ડો. રવીન્દ્રભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ સજનપર ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ સીણોજીયાએ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને સમગ્ર શાળા સ્ટાફને હાર્દિક અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.

